પિતાની છત્રછાયા ગુમાવવાનું દર્દ શું હોય તે અમે જાણીએ છીએ: રાહુલ ગાંધી
- પ્રિયંકા-રાહુલ ગાંધી પુલવામાના આંતકી હુમલાના શહીદ જવાનના પરિવારને મળ્યા
Updated: Feb 21st, 2019
(પીટીઆઇ) લખનઉ, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર
પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા એક જવાન અમીત કુમાર કોરીના પરિવાને આજે રાહુલ ગાંધી અને તેમના બહેન તેમજ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા મળ્યા હતા અને દુ:ખી પરિવારને કહ્યું હતું કે અમે તમારી પીડાને સમજી શકીએ છીએ કારણ કે અમે પણ આંતકી હુમલામાં અમારા પિતાને ગુમાવ્યા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધીયા અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્બર પમ શહીદ થયેલા જવાનના નિવાસસ્થાને શોકસભામાં સામેલ થયા હતા.
'કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને પૂર્વ ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધી-વાડ્રા આજે શહીદ થયેલા જવાનની શોકસભામાં ગયા હતા અને કોરીના પરિવાને મળ્યા હતા તેમજ પરિવારના દુ:ખમાં સહભાગી બન્યા હતા'એમ પક્ષે ટ્વિટમાં કહ્યું હતું.
રાહુલ અને પ્રિયંકાએ શહીદ જવાન કોરીને શ્રધ્ધાંજલી આપી હતી. ઉપરાંત પરિવારના અન્ય સભ્યોને પણ આશ્વાસન આપ્યું હતું.'દુ:ખની આ ક્ષણમાં અમે તમારી સાથે છીએ.
કોરીના પિતાએ અમને કહ્યું હતું કે તેઓ દુ:ખી છે, પરંતુ સાથે સાથે પુત્રના બલિદાન અંગે ગૌરવ પણ અનુભવે છે' એમ તેમણે કહ્યું હતું.'મારી બહેને કહ્યું હતું કે અમે પણ અમારા પિતા(પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી)ને ગુમાવ્યા હતા. તેમને પણ આ રીતે જ મારી નાંખવામાં આવ્યા હતા. અમે તમારી યાતના અને દુ:ખ સમજીએ છીએ'એમ રાહુલે કહ્યું હતું.