હું ગાંધી પરિવારની નોકરી નથી કરી રહ્યો, રાજનેતા છું: અમેઠીથી કોંગ્રેસ ઉમેદવારે કેમ આપ્યું આવું નિવેદન?
Updated: May 5th, 2024
Uttar Pradesh Lok Sabha Elections 2024 : ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં અમેઠી (Amethi Seat)ને હોટ સીટ માનવામાં આવે છે. અહીં કોંગ્રેસે ગાંધી પરિવારના નજીકના ગણાતા કિશોરી લાલ શર્માને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ચૂંટણી મેદાનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ટક્કર આપશે. આવી સ્થિતિમાં તેમણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘હું ગાંધી પરિવાર માટે કોઈ નોકરી કરી રહ્યો નથી, હું માત્ર રાજકારણી છું.’
‘મને કોંગ્રેસ પાસેથી કોઈ પગાર મળી રહ્યો નથી’
તેમણે કહ્યું કે, ‘પાર્ટી હાઈકમાન્ડના નિર્ણય બાદ મને અમેઠીની ટિકિટ અપાઈ છે. અગાઉ અહીંથી કોણ ચૂંટણી લડશે, તે નક્કી ન હતું. જોકે વાત એવી છે કે, હું સ્મૃતિ ઈરાનીને હરાવીશ. હું ગાંધી પરિવારની કોઈ નોકરી કરી રહ્યો નથી. મને કોંગ્રેસ પાસેથી કોઈ પગાર મળી રહ્યો નથી, હું એક રાજકારણી છું. હું 1983માં અહીં આવ્યો હતો. આજે ભરે મારી હેસિયત તેમના (સ્મૃતિ ઈરાની) જેવી નથી, પરંતુ અગાઉ મારી હેસિયત ઘણી મોટી હતી.’
અમેઠી બેઠક પર ત્રિકોણીય જંગ, 20મીએ મતદાન
ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં BJPના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ રાહુલ ગાંધી (Rahul Gandhi)ને હરાવ્યા હતા. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે સ્મૃતિ ઈરાની સામે કે.એલ.શર્મા (Kishori Lal Sharma)ને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)એ નન્હે સિંહ ચૌહાણ (Nanhe Singh Chauhan)ને ઉમેદવાર બનાવ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હોવાથી સપાએ અહીં ઉમેદવાર ઉતાર્યો નથી. આવી સ્થિતિમાં અમેઠી બેઠક પર ત્રિકોણીય જંગ જોવા મળશે. આ બેઠક માટે 20મી મેએ મતદાન થશે.