Get The App

યુદ્ધને કારણે LPG ની અછત વચ્ચે યુરિયા ઉત્પાદન 50% ઘટ્યું, ખાતરની અછત સર્જાવાની આશંકા

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
યુદ્ધને કારણે LPG ની અછત વચ્ચે યુરિયા ઉત્પાદન 50% ઘટ્યું, ખાતરની અછત સર્જાવાની આશંકા 1 - image


Urea Production Cut By 50% :  મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયલના આક્રમણના પગલે ઈરાને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરતા આખી દુનિયા ઊર્જા કટોકટીનો સામનો કરી રહી છે. આ સંકટ વચ્ચે ભારતમાં એલપીજી ગેસનો પુરવઠો ખોરવાયો હોવાથી ભારતમાં યુરિયા પ્લાન્ટ તેમની અડધી ક્ષમતા પર કામ કરી રહ્યા છે, જેને પગલે ઉત્પાદન પણ ઘટયું છે. આથી આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ પછી હવે ખાતરની તંગી સર્જાવાનું જોખમ છે.

મધ્ય-પૂર્વમાં યુદ્ધના પગલે પેટ્રોનેટ એલએનજીએ ઈમર્જન્સી સ્થિતિની જાહેરાત કરી છે, જે દેશનો સૌથી મોટું એલએનજી મેળવતું ટર્મિનલ ઓપરેટ કરે છે. સપ્લાયરોએ હોર્મુઝની ખાડીમાંથી સપ્લાય અવરોધાવાના કારણે ગેસનો સપ્લાય કરવામાં અસમર્થતા વ્યક્ત કરી છે.

આ પગલાંથી સરકારી ગેસ વિતરક કંપનીઓ ગેલ, ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમે સપ્લાયમાં કાપ શરૂ કર્યો છે. ગેસનો પુરવઠો સામાન્ય સ્તરથી ઘટાડીને 60-65 ટકા કરી દેવાયો છે, જેથી કેટલાક પ્લાન્ટમાં અસરકારક સપ્લાય 50 ટકાથી નીચે આવી ગયો છે. આ કારણે જે પ્લાન્ટ્સ પર અસર થઈ છે ત્યાં યુરિયાનું ઉત્પાદન પણ ઘટીને લગભગ અડધું થઈ ગયું છે. 

સૂત્રો મુજબ ભારત દુનિયામાં સૌથી મોટા યુરિયા ગ્રાહકોમાંનો એક છે અને સતત ઘરેલુ અછત આગામી ખરીફ સીઝન પહેલા ખાતરની ઉપલબ્ધતા પર અસર કરી શકે છે. ભારત પાસે 19 માર્ચ સુધીમાં કુલ 61.14 લાખ ટન યુરિયાનો ભંડાર હતો, જે એક વર્ષ પહેલા આ જ સમયના ૫૫.૨૨ લાખ ટનથી વધુ છે.