UPSCએ શરૂ કર્યું નવું પોર્ટલ, જે ઈન્ટરવ્યૂમાં પાસ નથી થયા, તેઓને પણ મળશે સીધી નોકરી
UPSC Has Launched Pratibha Portal : સિવિલ સર્વિસ પરીક્ષા પાસ ન કરનારા ઉમેદવારો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) મહત્ત્વની પહેલ કરી છે. UPSCએ આ ઉમેદવારો માટે પ્રતિભા સેતુ પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખાનગી અને સરકારી સંસ્થાઓ તે ઉમેદવારો સાથે સીધા જોડાઈ શકશે અને તેમની પ્રતિભાનો ઉપયોગ કરી શકશે, એટલે કે તેમને નોકરીની તકો પૂરી પાડવામાં આવશે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે, આ પોર્ટલ કેવી રીતે કામ કરે છે અને કંઈ કંપનીઓ તે લોકો સાથે જોડાઈ શકે છે.
પ્રતિભા સેતુ પોર્ટલ શું છે?
યુપીએસસીનું પ્રતિભા સેતુ પ્લેટફોર્મ અગાઉ પબ્લિક ડિસ્ક્લોજર યોજના તરીકે ઓળખાતું હતું. પોર્ટલના મુખ્ય હેતુની વાત કરીએ તો, યુપીએસસીમાં પાસ, પરંતુ ઈન્ટરવ્યૂમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની વિગતો પોર્ટલ દ્વારા નોકરીદાતાઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. અગાઉ ઉમેદવારોની વિગતો યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ પર જારી કરવામાં આવતી હતી, જોકે હવે આ સુવિધાને પ્રતિભા સેતુ પ્લેટફોર્મ પર લોન્ચ કરી દેવાઈ છે. હવે નોકરીદાતાઓ પોર્ટલ થકી ઉમેદવારોની માહિતી મેળવી શકશે. આનો અર્થ એ થયો કે, પસંદગી પામ્યા નથી, પરંતુ પસંદગી પામેલા ઉમેદવાર જેટલી જ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને સારી જગ્યાએ નોકરી કરવાની તક મળશે.
કયા પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને તક મળશે?
- સિવિલ સર્વિસીસ પરીક્ષા (Civil Services Examination)
- ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ પરીક્ષા (Indian Forest Service Examination)
- સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ પરીક્ષા (Central Armed Police Forces (ACs) Examination)
- એન્જિનિયરિંગ સર્વિસીસ પરીક્ષા (Engineering Services Examination)
- કમાઈન્ડ જિયો સાઈન્ટિસ્ટ એક્ઝામિનેશન (Combined Geo-Scientist Examination)
- સીડીએસ પરીક્ષા (C.D.S. Examination)
- ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ (Indian Economic Service)
- કમાઈન્ડ મેડિકલ સર્વિસ પરીક્ષા (Combined Medical Services Examination)
પોર્ટલ કેવી રીતે કામ કરશે?
અગાઉ યુપીએસસી યાદી દ્વારા કામ કરતું હતું, જોકે હવે પોર્ટલ દ્વારા કરવામાં આવશે. આ માટે એક વેબસાઈટ લોગઈન કરવાનું રહેશે. તેમાં પ્રાઈવેટ કંપનીઓ અથવા કેન્દ્ર સરકારની સંસ્થાઓ પોતાનું એકાઉન્ટ બનાવશે અને લોગઈન કરશે. ત્યારબાદ નોકરીદાતાઓને ઈન્ટરવ્યૂમાં સિલેક્ટ ન થનારા ઉમેદવારોની માહિતી મળી જશે અને પછી સીધો જ સંપર્ક કરી શકે.