Get The App

ગુજરાતથી સૌથી નજીક ચાબહાર પોર્ટ પર સંકટ... ભારતનું વધ્યું ટેન્શન, દાવ પર લગભગ 4771 કરોડ રૂપિયા

Updated: Jun 19th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતથી સૌથી નજીક ચાબહાર પોર્ટ પર સંકટ... ભારતનું વધ્યું ટેન્શન, દાવ પર લગભગ 4771 કરોડ રૂપિયા 1 - image


Israel-Iran Conflict And India-Iran Relations History : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ભયંકર સ્થિતિ પર પહોંચી ગયું છે. બંને દેશો એકબીજા પર મિસાઈલો અને ડ્રોનથી હુમલાઓ કરી રહ્યા છે. ઈરાને ઈઝરાયલના સ્ટોક એક્સચેન્જ અને હોસ્પિટલો પર હુમલા કર્યા છે. ત્યારબાદ તેણે ફરી ઈઝરાયલ પર 25થી વધુ મિસાઈલો ઝીંકી છે. ઈરાનના આક્રમક હુમલાનો જવાબ આપવા ઈઝરાયલે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. બંને દેશોના યુદ્ધના કારણે ભારતની ચિંતા વધી ગઈ છે, કારણ કે ઈરાનમાં ભારતના લગભગ 4771 કરોડ રૂપિયા દાવ પર લાગેલા છે.

ભારત માટે મહત્ત્વનો ઈરાનનો ચાબહાર પોર્ટ પર સંકટ

ભારત માટે ઈરાનનો ચાબહાર પોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે. તેનું સંચાલન ઈન્ડિયા પોર્ટ ગ્લોબલ લિમિટેડ (IPGL) દ્વારા કરવામાં આવે છે. અહીંથી ભારત, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા વેપાર કરી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ વેપાર માર્કમાં પાકિસ્તાન ક્યાંય આવતું નથી, જેના કારણે યુદ્ધ વચ્ચે ભારતનું પોર્ટ પર વિશેષ ધ્યાન છે. આ પોર્ટ ભારતમાટે વેપારી માર્ગ છે, તેથી યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થવાના કારણે પોર્ટ પર સંકટ આવી શકે છે.

ચાબહાર પોર્ટ પર ભારતનું અબજોનું રોકાણ

  • વર્ષ 2024માં ભારતે ચાબહાર સ્થિત શાહિદ બેહેસ્તી ટર્મિનલનું સંચાલન કરવાનો 10 વર્ષનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આઈપીજીએલ અને ઈરાનના આરિયા બનાદર ભાગીદારી હેઠળ ટર્મિનલની દેખરેખ રાખી રહ્યા છે. અગાઉ વર્ષ 2017માં અદાણી ગ્રૂપ અને એસ્સાર જેવી પ્રાઈવેટ કંપનીઓએ ટર્મિનલના સંચાલનમાં રસ દાખવ્યો હતો. ભારતે આ પોર્ટના વિકાસ માટે મોટું રોકાણ કરેલું છે.
  • ચાબહાર પોર્ટ વૈકલ્પિક અને સરળ માર્ગ હોવાના કારણે ભારત ઈરાન, અફઘાનિસ્તાન, મધ્ય એશિયા અને યુરોપમાં વેપારની આયાત-નિકાસ કરે છે. ભારતે પોર્ટના વિકાસ માટે 200 મિલિયન અમેરિકી ડૉલરથી વધુનું રોકાણ કર્યું છે, જ્યારે પોર્ટ પરના એક ટર્મિનલનો વિકાસ કરવા માટે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.
  • આ ઉપરાંત ભારતે બર્થ અપગ્રેડ માટે 85 મિલિયન ડૉલનું રોકાણ, એક્ઝિક બેંક લાઈન ઑફ ક્રેડિટ માટે 150 મિલિયન ડૉલર અને સ્ટીલ આયાત સુવિધાજનક બનાવવા માટે ચાબહાર-જાહેદાન રેલવના વિકાસ માટે 400 મિલિયન ડૉલરનું રોકાણ કર્યું છે. શાહિદ બેહેસ્તી ટર્મિનલ ઈરાનનું બીજું સૌથી મોટું પોર્ટ છે.

આ પણ વાંચો : ચીન કે રશિયા નહીં ઈરાનને બચાવવા માટે આગળ આવ્યા આ 3 શક્તિશાળી દેશો, યુદ્ધ રોકાશે? 

ચાબહાર બંદરથી સૌથી નજીક ગુજરાત

ભારતે વર્ષ 2024માં અફઘાનિસ્તાનમાં 20,000 ટન ઘઉંની સહાય મોકલવા માટે  તથા 2021માં ઇરાનને જંતુનાશકો મોકલવા માટે આ પોર્ટનો જ ઉપયોગ કર્યો હતો. ગુજરાતમાં આવેલાં કંડલા બંદરેથી ચાબહાર બંદર 550 નોટિકલ માઇલના અંતરે આવેલું છે.  જ્યારે ચાબહારથી મુંબઇ વચ્ચે 786 નોટિકલ માઇલનું અંતર છે. આમ ગુજરાત ચાબહાર બંદરથી સૌથી નજીક આવેલું છે. 

ચાબહાર પોર્ટ ઓમાનના ખાડી સાથે જોડાયેલું તેમજ ઈરાનનું પ્રથમ ડીપ વોટર પોર્ટ છે. આ પોર્ટ દરિયાઈ માર્ગે ઈરાનને અન્ય દેશો સાથે જોડે છે. આ પોર્ટ ઈરાનની સરહદને પાકિસ્તાન સાથે પણ જોડે છે. પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટના નિર્માણની કામગીરી ચીનના હાથમાં છે. ચાબહાર એરપોર્ટ ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)નો ભાગ છે. તે હિંદ મહાસાગર અને પર્સિયન ગલ્ફને કેસ્પિયન સમુદ્રથી ઈરાન અને ઉત્તર યુરોપથી રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ થઈને જોડતો પ્રોજેક્ટ છે.

ભારત અને ઈઝરાયલ વચ્ચે વેપારમાં વધારો

છેલ્લા 5 વર્ષમાં ભારત અને ઈઝરાયલ વચ્ચે જ્યાં વેપાર બમણો થયો છે, ત્યારે આ સમયગાળા દરમિયાન ઈરાન અને ભારત વચ્ચેનો વેપાર ઘટ્યો છે. નિષ્ણાતો માને છે કે વેપારમાં વધારો એ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પુરાવો છે. ઈઝરાયલે ક્યારેય ભારત વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી અને ન તો તેના કોઈ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. પરંતુ ઈરાન સાથે સમયાંતરે આ જોવા મળ્યું છે. ગત મહિને જ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈએ ભારતના મુસલમાનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારતને મુસ્લિમ અધિકારોના ઉલ્લંઘન કરનારા દેશોમાં સામેલ કર્યો હતો.  ખામનેઈએ ભારત પર મુસ્લિમો પર અત્યાચારનો આરોપ લગાવતા તેને મ્યાનમાર અને ગાઝા સાથે ગણાવ્યું હતું. તેમના નિવેદન પર ભારતે કહ્યું હતું કે, તેમણે પહેલા પોતાનો રેકોર્ડ જોવો જોઈએ.

આ પણ વાંચો : ખતરનાક પરિણામ ભોગવવા પડશે: ઈરાન યુદ્ધ મામલે રશિયાની અમેરિકાને ધમકી

ઈઝરાયલ અને ભારતની મિત્રતા

ભારતે 1992માં ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કર્યા હતા. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. આ દરમિયાન વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. 1992માં જે લગભગ 200 મિલિયન ડોલર હતો તે નાણાકીય વર્ષ 2022-23માં વધીને 10.7 બિલિયન ડોલર થઈ ગયો છે. છેલ્લા ચાર વર્ષમાં તેમાં ઝડપથી વૃદ્ધિ થઈ છે. તે બમણો થઈ ગયો છે. 2018-19માં 5.56 બિલિયન ડોલરથી વધીને 2022-23માં 10.7 બિલિયન ડોલર થઈ ગયો. 2021-22 અને 2022-23 વચ્ચે વેપારમાં 36.90%ની વૃદ્ધિ થઈ છે. 2022-23માં ઈઝરાયલમાં ભારતની નિકાસ8.45 બિલિયન ડોલર હતી, જ્યારે ઈઝરાયલથી નવી દિલ્હીની આયાત 2.3 બિલિયન ડોલર હતી. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 10 મહિના (એપ્રિલ-જાન્યુઆરી) દરમિયાન દ્વિપક્ષીય વેપાર 5.75 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ભારતના 1,167 બિલિયન ડોલરના વેપારના કુલ વેપારનો 0.92% હિસ્સો બનતા ઈઝરાયલ તે વર્ષે ભારતનો 32મો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો.વિદેશ મંત્રાલયના 2024માં કહ્યું હતું કે, ભારત એશિયામાં ઈઝરાયલનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર અને વૈશ્વિક સ્તરે સાતમો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. હાલમાં ઈઝરાયલમાં લગભગ 18 હજાર ભારતીયો છે.

ઈઝરાયલના પ્રવાસે જનારા પ્રથમ ભારતીય PM નરેન્દ્ર મોદી

2014માં કેન્દ્રમાં સત્તા પર આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ 2017માં ઈઝરાયલના પ્રવાસે ગયા હતા. ઈઝરાયલનો પ્રવાસ કરનાર તેઓ પ્રથમ ભારતીય પીએમ હતા. વર્ષોથી ઈઝરાયલ અને ભારત આતંકવાદ વિરોધી અને સંરક્ષણ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરી રહ્યા છે અને ભારત યહૂદી રાજ્ય પાસેથી હથિયારો ખરીદતું રહ્યું છે. ઈઝરાયલ અને ભારત વચ્ચેની મજબૂત મિત્રતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે જ્યારે પીએમ મોદી ઈઝરાયલના પ્રવાસે ગયા હતા ત્યારે બેન્જામિન નેતન્યાહૂએ તેમનું હાઈ લેવલ રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જ્યાં પણ પ્રવાસે ગયા ત્યાં નેતન્યાહૂ તેમની સાથે હતા. તેઓ અમેરિકન પ્રમુખ જેવા ઉચ્ચ સ્તરના મહેમાનોને આવી સારવાર આપે છે.

આ પણ વાંચો : ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે! ફાઈટર જેટ રવાના, નેવી પણ એક્શનમાં

ઈરાન અને ભારતની મિત્રતા

ભારત માટે જેવી રીતે ઈઝરાયલ જરૂરી છે તેવી જ રીતે ઈરાન પણ જરૂરી છે. ઐતિહાસિક રીતે ઈરાન સાથે પણ ભારતના સારા સંબંધો રહ્યા છે. બંને વચ્ચે મજબૂત વેપારી સંબંધો છે, જેમાં ખાસ કરીને ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામના ક્ષેત્રમાં. ભારતે તાજેતરમાં જ ઈરાનમાં સ્થિત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટના 10 વર્ષ માટે સંચાલન અધિકારો હાંસલ કર્યા છે. આ સાથે જ ભારતીય કંપનીઓ ઈરાન પાસેથી સસ્તું તેલ ખરીદે છે. જોકે, ઈઝારાયલની તુલનામાં ઈરાન સાથે ભારતના વેપારમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2022-23માં ઈરાન ભારતનો 59મો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ હતો. તેની સાથે દ્વિપક્ષીય વ્યાપાર 2.33 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. નાણાકીય વર્ષ 2022-23માં વધતા પહેલા ઈરાન સાથે ભારતના વેપારમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમાં 2021-22માં 21.77%નો વધારો થયો હતો. તે 2022-23માં 1.94 બિલિયન ડોલરથી વધીને 2.33 બિલિયન થઈ ગયો છે. નાગરિકોની વાત કરીએ તો ઈરાનમાં પાંચથી 10 હજાર ભારતીયો રહે છે. ભારતને તેલ સપ્લાય કરનારા ટોચના દેશો જેવા કે સાઉદી અરબ અને ઈરાન પશ્ચિમી એશિયામાં છે. 

ક્રૂડ ઓઈલ અને હથિયાર પર યુદ્ધની અસર

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર ક્રૂડ ઓઈલ પર પડશે. ભારત પોતાની જરૂરિયાતના 85% ક્રૂડ ઓઈલની આયાત કરે છે અને તેના કુલ વપરાશના 7% સાઉદી અરેબિયા, કુવૈત અને ઈરાકમાંથી લે છે. આવી સ્થિતિમાં આ યુદ્ધ ભારત માટે મોટો પડકાર બની શકે છે. ક્રૂડ ઓઈલ ઉપરાંત ભારત અને ઈઝરાયલ વચ્ચે હથિયારો સહિત અબજો ડોલરનો વેપાર થાય છે, જેને આ યુદ્ધથી અસર થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે. બીજી તરફ ભારત માટે લાંબા સમય સુધી તટસ્થતા વાળી નીતિ પર બન્યા રહેવું મુશ્કેલ થઈ શકે છે. જો ભારત ઈઝરાયલ સાથે પોતાના સબંધો બનાવવાના પ્રયાસો કરશે તો ઈરાન સાથે સબંધો વધુ વણસી શકે છે અને જો ભારતે ઈરાન સાથે નિકટતા દેખાડશે તો તેને ઈઝરાયલની સાથે-સાથે અમેરિકાની નારાજગીનો પણ સામનો કરવો પડી શકે છે. 

આ પણ વાંચો : ફાયદા વગર પાકિસ્તાનથી મિત્રતા નહીં કરે ટ્રમ્પ! આ સામાન 'છુપાવવાની' તૈયારી, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો

Tags :