Get The App

'હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત', US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહિતી

Updated: Feb 7th, 2026

GS TEAM

Google News
Google News
'હીરા અને દવાઓ પર 0% ટેરિફ, ખેડૂતો-ડેરીના હિતો સુરક્ષિત', US-ભારત ટ્રેડ ડીલ અંગે પિયૂષ ગોયલે આપી માહિતી 1 - image


India US Trade Deal: વ્હાઇટ હાઉસે શનિવારે (7 ફેબ્રુઆરી) મોડી રાત્રે જાહેરાત કરી કે અમેરિકા અને ભારતે એકબીજા માટે ફાયદાકારક ટ્રેડ પર એક વચગાળાની સમજૂતી માટે એક ફ્રેમવર્ક પર મહોર લગાવી છે. આ ફ્રેમવર્ક બંને દેશો વચ્ચે લગભગ એક વર્ષની વાતચીત બાદ એક સત્તાવાર સફળતા છે. હવે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર પ્રેસ કોન્ફરન્સ યોજી છે. જેમાં તેમણે જણાવ્યું કે, 'ખેડૂતો-ડેરીના હિતોને સુરક્ષિત રખાયા છે.'

પિયૂષ ગોયલે શું આપી માહિતી?

• ખેડૂતો અને ડેરી ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવ્યું છે
• 30 ટ્રિલિયન ડોલરનું યુએસ બજાર ભારતીય નિકાસકારો માટે ખુલ્લું છે
• રત્નો, હીરા, ફાર્માસ્યુટિકલ્સ અને ભારતમાં બનેલા સ્માર્ટફોન પર 0% ડ્યુટી લાગશે

આ અગાઉ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે સોશિયલ મીડિયા પર સંયુક્ત નિવેદન શેર કર્યું હતું, જેમાં જણાવાયું છે કે આ નવું ફ્રેમવર્ક કેટલા મોટા માર્કેટ એક્સેસને ખોલી શકે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અમેરિકાની સાથે એક વચગાળા સમજૂતિ માટે એક ફ્રેમવર્ક તૈયાર કર્યું છે, જે ભારતીય નિકાસકારો માટે $30 ટ્રિલિયન બજાર ખોલશે.

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે વિકસિત ભારત 2047 ના લક્ષ્ય તરફ આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે. અમેરિકા સાથેની ટ્રેડ ડીલ એ એક ઐતિહાસિક પગલું છે. અમે ફેબ્રુઆરી 2025માં વાતચીત શરૂ કરી હતી. આ વાટાઘાટો બંને દેશો વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હતી. દ્વિપક્ષીય કરારની ચર્ચા કરતા, ગોયલે કહ્યું કે તે વેપારને પ્રોત્સાહન આપવા અને બંને દેશો વચ્ચે સહયોગને ગાઢ બનાવવા પર કેન્દ્રિત છે. આ કરાર ભારતીય નિકાસકારો, ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો અને માછીમારો માટે તકો વધારશે.

રત્ન અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર કોઈ ડ્યુટી ચાર્જ નહીં

વાણિજ્ય મંત્રી ગોયલે જણાવ્યું હતું કે નવા ભારત-યુએસ વેપાર કરાર હેઠળ અમેરિકામાં ઘણી મુખ્ય ચીજવસ્તુઓની નિકાસને ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. રત્ન અને ઘરેણાં, તેમજ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને હવે ડ્યુટી-મુક્ત ઍક્સેસ મળશે, જે ભારતની નિકાસ સ્પર્ધાત્મકતામાં વધારો કરશે અને 'મેક ઇન ઇન્ડિયા' પહેલને ટેકો આપશે.

ફાર્માસ્યુટિકલ્સ, કોફી અને કેરીની ટેરિફ વિના નિકાસ કરવામાં આવશે

ગોયલે જણાવ્યું હતું કે રત્ન, ફાર્માસ્યુટિકલ્સ, કોફી, કેરી અને અન્ય ઘણી વસ્તુઓ અમેરિકામાં ડ્યુટી-મુક્ત નિકાસ કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં, ઘણા ભારતીય ઉત્પાદનો હવે કોઈપણ ડ્યુટી વિના અમેરિકામાં નિકાસ કરી શકાશે. આમાં ચા, મસાલા, નાળિયેર તેલ, વનસ્પતિ મીણ, સોપારી, બ્રાઝિલ બદામ, ચેસ્ટનટ અને વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. પીયૂષ ગોયલના મતે, શાકભાજીના મૂળ, અનાજ, જવ, બેકરી ઉત્પાદનો, કોકો ઉત્પાદનો, તલના બીજ, ખસખસ અને સાઇટ્રસ ફળોના રસ પણ પારસ્પરિક ડ્યુટીમાંથી મુક્ત રહેશે અને હવે અમેરિકન બજારમાં ડ્યુટી-મુક્ત પ્રવેશ કરશે.