Get The App

દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી 1 - image

UIDAI Deactivates Aadhaar Number : યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(UIDAI) આધાર કાર્ડ મુદ્દે મહત્ત્વની માહિતી આપી છે. ઑથોરિટીએ કહ્યું છે કે, દેશભરમાં બે કરોડ મૃત વ્યક્તિઓના નામ ડેટામાંથી હટાવી દેવાયા છે. કોઈપણ છેતરપિંડી ન થાય કે પછી આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય, તે હેતુથી ઑથોરિટીએ મૃતક વ્યક્તિઓના આધાર નંબર નિષ્ક્રિય કરી દીધા છે. 

મૃતક વ્યક્તિઓની માહિતી એકઠી કરી આધાર કાર્ડ નિષ્ક્રિય કરાયા

મૃતક વ્યક્તિઓની ચોક્કસ માહિતી મેળવી શકાય તે માટે UIDAIએ રજિસ્ટ્રાર જનરલ, રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો, જાહેર વિતરણ વ્યવસ્થા, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ અને અનેક સરકારી વિભાગો પાસેથી ડેટા મેળવ્યા હતા. આ ઉપરાંત ડેટા મેળવવા માટે બૅંકો અને અન્ય સંસ્થાઓની પણ મદદ લીધી હતી.

આ પણ વાંચો : જાણીતી પાન મસાલા કંપનીના માલિકની વહુએ આત્મહત્યા કરી, ડાયરીમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

મૃતક વ્યક્તિઓના આધાર નંબર કોઈને પણ અપાશે નહીં

UIDAIએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોઈપણ મૃતક વ્યક્તિનો આધાર નંબર કોઈ અન્ય વ્યક્તિને જારી કરવામાં આવતા નથી. જોકે સુરક્ષાની દૃષ્ટિએ આ નંબરો નિષ્ક્રિય કરવા પણ જરૂરી છે. જો ફરી આ નંબરો અન્યને આપવામાં આવે તો સરકારી યોજનાઓનો દુરુપયોગ થવાની અને ગેરકાયદે લાભ લેવાની સંભાવના વધી જાય છે, તેથી આ નંબરો કાયમ માટે નિષ્ક્રિય કરવા ખૂબ જરૂરી છે.

UIDAIએ નવી સુવિધા શરુ કરી, ‘મૃતક વ્યક્તિઓની માહિતી આપો’

યુઆઇડીએઆઇએ નવી સુવિધા શરુ કરી છે, જેમાં પરિવારના સભ્યો ‘myAadhaar’ પોર્ટલ પર પોતાના દિવંગત વ્યક્તિના આધાર અંગે રિપોર્ટ નોંધાવી શકે છે. આ સુવિધા હાલ 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરુ છે. ચોક્કસ માહિતી મેળવ્યા બાદ જ ઑથોરિટી મૃત વ્યક્તિનો આધાર નંબર નિષ્ક્રિય કરી દે છે. ઑથોરિટીએ લોકોને અપીલ કરી છે કે, ડેટાબેઝ સુરક્ષિત રહે તેમજ અપડેટેડ પણ રહે તે માટે, જો પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો, તેમના ડેટ સર્ટિફિકેટની myAadhaar પોર્ટલ પર નોંધણી કરાવે.

આ પણ વાંચો : યુપીમાં BLO તરીકે કામગીરી કરતા એકાઉન્ટન્ટે કરી આત્મહત્યા, લગ્નને એક જ દિવસ બાકી હતો