5 રાજ્યોમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ, જ્યારે મધ્ય-પશ્ચિમના રાજ્યોમાં જળાશયો ખાલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Monsoon Revival India : ભારતના હવામાનમાં હાલ મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વીય ભાગને બાદ કરતાં, વરસાદની ખેંચને કારણે દુષ્કાળ જેવો માહોલ છે, અને ખેડૂતો ચિંતિત છે. ચોમાસાની ગતિ અટકી ગઈ છે. પરંતુ સારા સમાચાર એ છે કે, પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ઘણી હવામાન સિસ્ટમ્સ બની રહી છે, જે સાનુકૂળ સ્થિતિમાં છે. ઘણા વેધર મોડલ્સ દર્શાવી રહ્યા છે કે, જો આમાંથી કેટલીક સિસ્ટમ બંગાળની ખાડી સુધી પહોંચશે, તો 18 થી 25 જુલાઈની વચ્ચે ચોમાસામાં નવો જીવ આવી શકે છે. જોકે હજી 7-8 દિવસ બાકી હોવાથી હવામાન વૈજ્ઞાનિકો સાવચેતી પૂર્વક આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ વર્ષે ચોમાસાની શરૂઆત સામાન્ય રહી હતી, પરંતુ મધ્ય અને ઉત્તર ભારતમાં તેમાં અવરોધ આવ્યો છે.
ખેતીપાકોને વરસાદી ઘટથી અસર
પૂર્વીય ભારતમાં વરસાદ થઈ રહ્યો છે, પરંતુ પશ્ચિમી, ઉત્તરીય અને મધ્ય ભાગો સૂકાઈ રહ્યા છે. આનાથી ડાંગર, મકાઈ અને કઠોળ જેવા પાકો પર અસર પડી રહી છે. જળાશયોનું સ્તર પણ ઘટી રહ્યું છે, જે પીવાના પાણી અને સિંચાઈ બંને માટે ચિંતાનો વિષય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોન્સૂન ટ્રફ લાઇન તેની સામાન્ય સ્થિતિથી હટી ગઈ છે, જેના કારણે ભેજવાળા પવનો પૂરતી માત્રામાં પહોંચી શકતા નથી.
આવી સ્થિતિમાં પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવતી સિસ્ટમ આશાનું કિરણ બનીને ઉભરી છે. ત્યાં ટ્રોપિકલ સિસ્ટમ અથવા લો પ્રેશર એરિયા બનવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધીને ભારતની નજીક બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે, તો તે ચોમાસાના પ્રવાહને મજબૂત કરી શકે છે. ECMWF, GFS અને IMD જેવા આંતરરાષ્ટ્રીય અને ભારતીય મોડલ્સ આ શક્યતા દર્શાવી રહ્યા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ઉત્તર ભારત માટે રાહત
બીજા એક સારા સમાચાર ઉત્તર ભારતમાંથી આવી રહ્યા છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ઉત્તર-પશ્ચિમ ભારતમાં પ્રવેશી રહ્યું છે. આ સિસ્ટમ પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ-ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોને અસર કરશે. આગામી 2-3 દિવસમાં આ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ અથવા વાવાઝોડું આવી શકે છે, જેનાથી તાપમાનમાં થોડો ઘટાડો થશે.
ચોમાસાની વાપસીની શક્યતા: 18-25 જુલાઈ
18 થી 25 જુલાઈનો સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જો પ્રશાંત મહાસાગરની સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે, તો તે પવનોને મજબૂત કરશે, અને મોનસૂન ટ્રફને સામાન્ય સ્થિતિમાં લાવી શકે છે. આનાથી મધ્ય ભારત, ઉત્તર ભારત અને રાજસ્થાન-ગુજરાત જેવા સૂકા વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે લા-નીના જેવી સ્થિતિ અથવા પ્રશાંત મહાસાગરમાં વિકસી રહેલી સિસ્ટમ ભારતીય ચોમાસાને સપોર્ટ કરી શકે છે.









