રફાલ સોદામાં કોઇ કૌભાંડ નથી, રિલાયન્સ પાસે અનુભવ ભલે ન હોય, અમારી પાસે છે : દસોલ્ટ
- રફાલ બનાવતી કંપની દસોલ્ટના સીઇઓ ભારતની મુલાકાતે
- ભારતને માત્ર ૩૬ રફાલ વિમાનો જ નહીં વધુ જોઇએ તો પણ આપીશું તેવો દાવો
Updated: Feb 20th, 2019
રફાલ અંગેનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને કેગનો રિપોર્ટ અમને માન્ય છે, ભારતમાં મોટંુ રોકાણ કર્યું છે તેવો દાવો
નવી દિલ્હી, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર
રફાલ સોદા મુદ્દે દેશભરમાં મચેલા રાજકીય ઘમાસાણ વચ્ચે દસોલ્ટ કંપનીના સીઇઓએ કહ્યું છે કે અમને ભારતની સુપ્રીમ કોર્ટના રફાલ અંગેના ચુકાદા અને કેગના રિપોર્ટને લઇને કોઇ બેચેની નથી કેમ કે આ ડીલમાં કોઇ જ ગેરરીતી નથી થઇ. ભારતને અમારે ૩૬ રફાલ વિમાન આપવાના છે અને તેને અમે સમયસર આપી દઇશું તેવો દાવો પણ આ કંપનીએ કર્યો હતો. અને જો ભારતને અન્ય વધુ વિમાન જોઇએ તો તે આપવા માટે પણ અમે તૈયાર છીએ તેમ જણાવ્યું હતું.
બેંગાલુરુમા હાલ એર ઇન્ડિયા ૨૦૧૯નો ઓર શો ચાલી રહ્યો છે, જેમાં ભાગ લેવા માટે આવેલા રફાલ બનાવતી કંપની દસોલ્ટના સીઇઓ એરિક ટ્રેપિયરે કહ્યું હતું કે રફાલ સોદામાં કોઇ જ ગેરરીતી નથી આચરવામાં આવી અને દરેક પ્રકારના નીયમોનું પાલન કરવામાં આવ્યું છે. સાથે જ દસોલ્ટ કંપનીના સીઇઓએ રિલાયંસનો પણ બચાવ કર્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રિલાયંસ કંપનીને ડિફેન્સ ક્ષેત્રે ઉત્પાદનનો અનુભવ ન હોવા છતા કેમ તેને પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવી તો જવાબમાં સીઇઓ એરિકે કહ્યું હતું કે હા પણ અમારી પાસે અનુભવ છે, અમે અમારો આ અનુભવ ભારતની ટીમને ટ્રાન્સફર કરીશું. આ ભારતની જે નવી ટીમ છે તેની નિમણુંક દસોલ્ટ રિલાયંસ એરોસ્પેસ લિમિટેડ દ્વારા અપોઇન્ટ કરવામાં આવી છે. તેઓ ભારત અને કંપની બન્ને માટે સારા છે. તો પછી આ સ્થિતિ વચ્ચે સમસ્યા ક્યાં છે?
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રફાલ વિમાન અગાઉની યુપીએ સરકાર કરતા ચારગણા વધુ ભાવે વર્તમાન સરકાર ખરીદી રહી છે. જ્યારે કેગ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અગાઉની સરકાર કરતા વર્તમાન સરકાર સસ્તાદરે રફાલ ખરીદી રહી છે.
સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કોઇ તપાસનો આદેશ આપવાનો હાલ ઇનકાર કરી દીધો હતો. આ સ્થિતિ વચ્ચે રફાલનો કેગનો રિપોર્ટ અને સુપ્રીમના ચુકાદાને ટાંકીને દસોલ્ટના સીઇઓએ કહ્યું હતું કે અમને કેગના રિપોર્ટ અને સુપ્રીમના ચુકાદાથી કોઇ જ વાંધો નથી.