રાજકારણમાં ઝંપલાવવાની કોઈ ઉતાવળ નથી : રોબર્ટ વાડ્રા
- યુપીના મુરાદાબાદ યુવક કોંગ્રેસ મંડળે ચૂંટણી લડવા વાડ્રાને આવકાર્યા
- ઈડીના નિરાધાર આરોપો સામે લડયા બાદ રાજકારણમાં પ્રવેશ અંગે વિચારીશ તેવો દાવો
Updated: Feb 26th, 2019
પીટીઆઈ) નવી દિલ્હી, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રાએ રવિવારે ફેસબુક પોસ્ટ દ્વારા પોતે મોટા પાયે લોકોની સેવા કરવા માંગે છે તેવી લાગણી પ્રદર્શીત કરી હતી. ત્યાર બાદ સોમવારે તેમણે પોતાને રાજકારણમાં જોડાવવાની કોઈ ઉતાવળ નથી તેમ જણાવ્યુ.
કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પોતાના રાજકારણમાં પ્રવેશ અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમને ચૂંટણી લડવાની કોઈ ઉતાવળ નથી,
તેઓ પહેલા ઈડીના કથિત આરોપોનો સામનો કરવા માંગે છે અને ત્યાર બાદ સક્રિય રાજનીતિમાં જોડાવવા અંગે વિચારણા કરશે. રવિવારે એક ફેસબુક પોસ્ટમાં પોતે મોટા પાયે લોકોની સેવા કરવા માંગે છે તેમ જાહેર કર્યા બાદ સોમવારે તેમણે પોતાને રાજકારણમાં જોડાવવાની ઉતાવળ નથી તેમ ખુલાસો કર્યો હતો.
રોબર્ટ વાડ્રાના વતન ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં તેમનું રાજકારણમાં સ્વાગત કરતા પોસ્ટર્સ લાગ્યા બાદ તેમણે આ ખુલાસો જાહેર કર્યો હતો. રોબર્ટ વાડ્રાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, 'તેઓ મોટા પાયે લોકોની સેવા કરવા માંગે છે. મહિનાઓ અને વર્ષો સુધી લોકો વચ્ચે કામ કર્યા બાદ તેમને હવે વિશાળ સ્તરે લોકો માટે કામ કરવાની જરુર લાગે છે.
મારા મતે પાછળના કેટલાક વર્ષોમાં મેં મેળવેલા અનુભવને બેકાર જવા દેવો યોગ્ય નથી.દ વધુમાં તેમણે લખ્યું હતું કે,'હું માત્ર લોકોની સેવા કરવા માટે જ નહીં પણ વિશાળ પાયે બદલાવ લાવવા માટે રાજકારણમાં જોડાવવા માંગુ છું.
પરંતુ મારું રાજનીતિમાં જોડાવવું લોકોની ઈચ્છા પર નિર્ભર કરે છ.દ વાડ્રાના કહેવા મુજબ તેમને રાજકારણમાં જોડાવવાની કોઈ ઉતાવળ નથી પરંતુ પહેલા લોકોને તેે કંઈક બદલાવ લાવી શકશે તેવો વિશ્વાસ હોવો જરુરી છે.
પ્રિયંકા ગાંધીના સક્રિય રાજનીતિમાં પ્રવેશ બાદ વાડ્રાના રાજકારણમાં પ્રવેશ અંગે અટકળો ચાલુ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ઈડીએ વાડ્રા વિરુદ્ધ મની લોન્ડ્રીંગ કેસની તપાસ આદરી છે જેમાં વિદેશમાં ગેરકાયદેસર રીતે સંપત્તિ ખરીદવાના કથિત કેસ અને રાજસ્થાનના બિકાનેરમાં કથિત જમીન કૌભાંડનો સમાવેશ થાય છે.