રસ્તા પર સિવિલયન વાહનોને અવર જવર કરવાની આપેલી પરવાનગી CRPFને ભારે પડી
Updated: Feb 15th, 2019
નવી દિલ્હી,તા.15.ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા સૌથી મોટા આતંકવાદુ હુમલા પૈકીના એક હુમલામાં જમ્મુ કાશ્મીર હાઈવેના એક હિસ્સાનો ઉપયોગ નાગરિકોને કરવાની છુટ આપવામાં આવી હતી.આ ઉદારતાનો બદલો સીઆરપીએફના જવાનોને જીવ આપીને ચુકવવો પડ્યો છે.
સીઆરપીએફના આઈજી જુલ્ફીકાર હસને કહ્યુ હતુ કે રોડ ઓપનિંગ પાર્ટીએ સીઆરપીએફના જવાનોનો કાફલો પસાર થાય તે પહેલા આખા રુટનુ ચેકિંગ કર્યુ હતુ.આ રુટ પર કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો નહોતો અને આતંકવાદીઓ કાફલા પર ફાયરિંગ કરી શકે કે ગ્રેનેડ ફેંકી શકે તેવી કોઈ સંભાવના હતી નહી.
પરંતુ આત્મઘાતી હુમલાખોર આદિલ અહેમદે કાશ્મીરી નાગરિકોને સીઆરપીએફના જવાનો જે રસ્તા પરથી પસાર થવાના હતા તેનો ઉપયોગ કરવા માટે અપાયેલી આઝાદીનો ઉપયોગ કરીને એક સર્વિસ રોડ પરથી આ રસ્તા પર(જમ્મુ કાશ્મીર હાઈવે)વિસ્ફોટકો ભરેલી કાર સાથે પહોંચ્યો હતો.
પહેલા સુરક્ષાદળોનો કાફલો પસાર થતો હોય ત્યારે તેના વાહનોની વચ્ચે નાગરિકોના વાહનોને પ્રવેશવાની છુટ નહોતી અપાતી પણ પરિસ્થિતિ સામાન્ય થઈ રહી હોવાથી સુરક્ષાદળોના જવાનોના કાફલાની આગળ કે પાછલ નાગરિકોના વાહનોને પણ ચાલવાની છુટ આપી હતી.
સીઆરપીએફના એક અધિકારીએ કહ્યુ હતુ કે સ્થાનિક નાગરિકોને હેરાનગતિ ના થાય તે માટે તેમના આ છુટ અપાઈ હતી પણ હવે જ્યારે વિસ્ફોટકો ભરેલી કારનો હુમલા માટે ઉપયોગ થયો છે ત્યારે અમે પણ હેરાન છે.હવે સુરક્ષાદળો પોતાની રણનીતિમાં બદલાવ કરશે.
ઉલ્લેખનીય છે કે સીઆરપીએફના જે કાફલા પર હુમલો થયો તેમાં 78 વાહનો અને 2547 જવાનો સામેલ હતા.
આ પહેલા 15 ફેબ્રુઆરી 2018ના રોજ પણ આતંકવાદીઓએ પુલવામામાં સીઆરપીએફના એક કેમ્પ પર કરેલો હુમલો સતર્ક જવાનોએ નાકામ બનાવ્યો હતો.