Get The App

એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકારની બાજ નજર રહેશે 1 - image

- વિદેશી ફંડ લેતા એનજીઓ પર સકંજો કસતા કડક નિયમો જાહેર

- વિદેશી ફંડનો ઉપયોગ ધર્માંતરણ માટે નહીં કરી શકાય એકથી પાંચ લાખના દંડની જોગવાઇના નિયમો લાગુ 

- કોઇ પુસ્તક કે લેખ પ્રકાશિત કરે છે તો તેની માહિતી ફંડના મૂળ ડોનરની વિગતો સરકારને આપવી પડશે

નવી દિલ્હી : વિવિધ એનજીઓ સાથે સંકળાયેલ ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન કાયદા હેઠળ થતા દંડની રકમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં હવેથી વિદેશી ફંડ મેળવનારા એનજીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિતની પ્રક્રિયા પર સરકાર નજર રાખશે. સરકાર દ્વારા એક ગેઝેટ બહાર પાડીને નિયમોમાં ફેરફાર કર્યા છે. જેનો ભંગ કરવા બદલ આશરે એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ કરવામાં આવી શકે છે.  

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે તે મુજબ જો વિદેશથી મેળવેલ ફંડ ઇંટરમીડિયરી રેમિટેંસ વ્હીકલ્સ અથવા ડોનર એડવાઇઝ્ડ ફન્ડ દ્વારા મેળવવામાં આવે તો એનજીઓએ પોતાની એપ્લિકેશનમાં અસલી ડોનર (રૂપિયા ક્યાંથી આવ્યા) અંગે જણાવવું પડશે. નિયમો મુજબ હવેથી વાર્ષિક રિટર્નમાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સની સાથે સાથે વિસ્તૃત એક્ટિવિટી રિપોર્ટ પણ સામેલ કરવો પડશે. એનજીઓએ એ પણ જણાવવું પડશે કે શું તેણે કોઇ પુસ્તક, લેખ વગેરે પ્રકાશિત કરેલ છે કે કેમ. 

કેન્દ્ર સરકારના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે પૂર્વ મંજૂરી હેઠળ કોઇ ખાસ હેતુ માટે વિદેશી ફન્ડ મેળવનારા એનજીઓ ત્યારે જ વધુ ફન્ડ મેળવી શકશે જ્યારે તેને અગાઉ જે ફન્ડ મળ્યું છે તેનો ૭૫ ટકા હિસ્સો તેણે ઉપયોગ કરી લીધો હોય. વિદેશથી આવેલા ફંડનો ઉપયોગ ક્યા કરવામાં આવ્યો તેની પણ ફીલ્ડ તપાસ થશે. વિદેશથી ફંડ મેળવનારા એનજીઓએ હવેથી એફસીઆરએ હેઠળ રજિસ્ટ્રેશન અથવા રિન્યૂઅલ માટે પોતાની એપ્લિકેશનમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની જાણકારી પણ આપવી પડશે. સરકારે અન્ય એક નવો નિયમ લાગુ કર્યો છે જે મુજબ હવેથી વિદેશી ફંડ મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવનારા એનજીઓએ પોતાના કામકાજનો હેતું, કાર્ય સ્થળ કે રાજ્યનું નામ જણાવવાનું રહેશે.

ધર્માંતરણ જેવી પ્રવૃત્તિ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. નવા સુધારા મુજબ ધાર્મિક શિક્ષણ, નૈતિક શિક્ષણ, સત્સંગ, પ્રવચન, ધ્યાન શિબિર, ભક્તિ સંગીત, ધાર્મિક નાટય કલા તથા આદિવાસી અને સ્વદેશી આસ્થા પરંપરાઓના સંરક્ષણને મંજૂરી આપવામાં આવી છે. જોકે મંત્રાલયે એવી પણ સ્પષ્ટતા કરી છે કે ધર્માંતરણ સાથે જોડાયેલી કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં નહીં આવે. જો કોઇ સંસ્થામાં વિદેશી નાગરિકો પ્રમુખના પદ પર હશે તેને વિદેશી ફન્ડિંગની નોંધણીની મંજૂરી જ નહીં અપાય. પ્રશાસનિક ખર્ચાઓ માટે પ્રાપ્ત ડોનેશનના ૨૦ ટકાથી વિદેશી ફંડનો ઉપયોગ કરવા પર એક લાખ રૂપિયાથી લઇને પાંચ લાખ રૂપિયા સુધીની પેનલ્ટી લાગી શકે છે. સટ્ટામાં વિદેશી ફંડનો ઉપયોગ કરવા પર એક લાખ અથવા રોકાણ કરાયેલ રકમના ૩૦ ટકા જે વધુ હોય તે દંડ કરાશે.