Get The App

ભાજપના 'સિંઘમ' સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ?

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
ભાજપના 'સિંઘમ' સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? 1 - image

Tamilnadu Campaign Strategy: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની ગરમાગરમી વચ્ચે ભાજપના કદાવર નેતા અને પૂર્વ IPS અધિકારી કે. અન્નામલાઈનું નામ ઉમેદવારોની યાદીમાં ન હોવું એ ચર્ચાનો વિષય બન્યો છે. ચર્ચા થઈ રહી છે કે શું પાર્ટીએ અન્નામલાઈને 'સાઈડલાઈન' એટલે કે કિનારે કરી દીધા છે. ત્યારે હવે ખુદ અન્નામલાઈ સામે આવ્યા છે અને આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. તેમણે પાર્ટીના માસ્ટર પ્લાનનો ખુલાસો કર્યો છે.

ઉમેદવાર બનાવવાને બદલે મોટી જવાબદારી

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય કે. અન્નામલાઈએ જણાવ્યું કે તેઓ ચૂંટણી મેદાનમાં કેમ નથી. તેમણે કહ્યું કે આ પાર્ટીનો એક વિચારેલો નિર્ણય છે. તેમને ઉમેદવાર બનાવવાને બદલે એક બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપના 'સિંઘમ' સાઈડલાઈન: તમિલનાડુમાં અન્નામલાઈને ટિકિટ નહીં, આંતરિક ડખો કે વ્યૂહનીતિ? 2 - image

અન્નામલાઈને મળી 'સુપર સ્ટાર પ્રચારક'ની જવાબદારી

અન્નામલાઈએ કહ્યું કે, 'આ ચૂંટણીમાં મારી ભૂમિકા સમગ્ર તમિલનાડુમાં પોતાના ઉમેદવારો માટે જોરદાર પ્રચાર કરવાની છે. હાલમાં, પાર્ટીએ મને 7 તારીખ સુધી પુડુચેરી અને કેરલમમાં ચૂંટણી પ્રચારની કમાન સોંપી છે. આ પછી તરત જ, એટલે કે 7 એપ્રિલથી લઈને 23 એપ્રિલ સુધી, હું તમિલનાડુના ખૂણે-ખૂણે જઈને ભાજપ અને NDAના તમામ ઉમેદવારો માટે વોટ માંગીશ. પાર્ટીએ મને આ જ મોટી જવાબદારી આપી છે અને હું તેને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ.'

વ્યૂહરચના કે રાજકીય મજબૂરી?

રાજકીય પંડિતોનું માનીએ તો, અન્નામલાઈને ઉમેદવાર ન બનાવવા એ ભાજપની એક મોટી ચૂંટણી વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે. જો અન્નામલાઈ પોતે કોઈ એક બેઠક પરથી ચૂંટણી લડ્યા હોત, તો તેઓ પોતાની બેઠક જીતવા પૂરતા મર્યાદિત રહી જાત. પાર્ટી નેતૃત્વ ઈચ્છે છે કે અન્નામલાઈની લોકપ્રિયતાનો લાભ આખા તમિલનાડુમાં મળે. તેઓ પાર્ટીના સૌથી મોટા 'ક્રાઉડ પુલર' એટલે કે ભીડ એકઠી કરનારા નેતા છે, તેથી તેમને એક બેઠક પર બાંધવાને બદલે સમગ્ર રાજ્યની જવાબદારી સોંપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: દુનિયાની સૌથી મોંઘી કેરી! 1 કિલોના ભાવે તો કાર અથવા લક્ઝુરિયસ બાઈક પણ ખરીદી શકાય

વિરોધ પક્ષનો દાવો, અન્નામલાઈ ચૂંટણી રેસથી દૂર 

જો કે વિરોધી છાવણી આને બીજા દ્રષ્ટિકોણથી જોઈ રહી છે. વિરોધીઓનું કહેવું છે કે પાર્ટીની અંદર ચાલી રહેલી ખેંચતાણને કારણે તેમને ચૂંટણીની રેસથી દૂર રાખવામાં આવ્યા છે. બીજી તરફ અન્નામલાઈએ કહ્યું છે કે તેઓ બેકફૂટ પર નથી, પરંતુ NDAની નાવડી પાર ઉતારવા માટે ફ્રન્ટફૂટ પર આવીને રમવાના છે.