50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાય: સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Supreme Court On Reservation For Maharashtra Local Body Poll : સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર સરકારને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપવા માટે આદેશ કર્યો છે. અદાલતે આકરી ચેતવણી આપતા કહ્યું કે, જો અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થશે તો ચૂંટણી પ્રક્રિયા તાત્કાલિક રોકી દેવામાં આવશે અને કોર્ટની શક્તિઓની પરિક્ષા ન લેવામાં આવે.’
કોર્ટે બાંઠિયા આયોગના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેંચે કહ્યું કે, ‘રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2022ના જે.કે.બાંઠિયા આયોગની રિપોર્ટ પહેલાની સ્થિતિ અનુસાર જ કરાવી શકાય છે. આ અગાઉની સ્થિતિમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણીઓમાં 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી.’
વધુ સુનાવણી 19 નવેમ્બરે
રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની વિનંતી બાદ બેંચે કેસની સુનાવણી 19 નવેમ્બર માટે નક્કી કરી, પરંતુ રાજ્ય સરકારને 50 ટકાની મર્યાદાથી આગળ ન વધવા માટે કડક સૂચના આપી.
‘જો મર્યાદા પાર થશે તો ચૂંટણી અટકાવીશું’
કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ‘જો એવી દલીલ કરવામાં આવશે કે ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થઈ ગયું છે અને તેથી કોર્ટે પોતાનું કામ રોકી દેવું જોઈએ, તો અમે ચૂંટણી પર રોક લગાવી દઈશું. આવી રીતે કોર્ટની શક્તિઓની પરીક્ષા ન લેતા. અમારો ઈરાદો ક્યારેય બંધારણની બેંચ દ્વારા નિર્ધારિત 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો નહોતો. અમે બે ન્યાયાધીશની બેંચમાં બેસીને તે કરી શકીએ નહીં. બાંઠિયા આયોગનો રિપોર્ટ હજી પણ અદાલતમાં વિચારણા હેઠળ છે, અમે માત્ર અગાઉની સ્થિતિ અનુસાર ચૂંટણી કરાવવાની પરવાનગી આપી હતી.’
70 ટકા અનામતની અરજીઓ પર નોટિસ
સુપ્રીમ કોર્ટે તે અરજીઓ પર પણ નોટિસ જારી કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કેટલાક કિસ્સાઓમાં રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામત 70 ટકા સુધી પહોંચી ગયું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ સોમવાર છે અને તેમણે સુપ્રીમ કોર્ટના 6 મેના આદેશનો હવાલો આપ્યો, જેણે ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. જોકે જસ્ટિસ બાગચીએ સ્પષ્ટ કર્યું કે, તેઓ પરિસ્થિતિથી પૂરી રીતે માહિતગાર હતા અને તેમનો ઈશારો બાંઠિયા પહેલાની સ્થિતિ જાળવી રાખવાનો હતો.








