India

આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ?, SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ

By GS TEAM
27 Nov 20254 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટે SIR પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શું ઘૂસણખોર વ્યક્તિને માત્ર આધાર કાર્ડના આધારે મત આપવાનો અધિકાર આપી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ કાયદેસર દસ્તાવેજ છે, જે ખાસ કાયદા હેઠળ સરકારી સુવિધાઓ (જેમ કે સબસિડીવાળું રાશન) માટે અપાય છે પરંતુ શું તેનાથી મતદાર બનાવવાનો હક મળે?

Summarized by AI; it may make mistakes. Check important info

આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ?, SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ

Supreme Court SIR Hearing: સુપ્રીમ કોર્ટે SIR પરની સુનાવણી દરમિયાન એક મહત્ત્વનો સવાલ ઉઠાવ્યો કે, શું ઘૂસણખોર વ્યક્તિને માત્ર આધાર કાર્ડના આધારે મત આપવાનો અધિકાર આપી શકાય? કોર્ટે સ્પષ્ટ કર્યું કે આધાર કાર્ડ કાયદેસર દસ્તાવેજ છે, જે ખાસ કાયદા હેઠળ સરકારી સુવિધાઓ (જેમ કે સબસિડીવાળું રાશન) માટે અપાય છે પરંતુ શું તેનાથી મતદાર બનાવવાનો હક મળે?

CJI સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચ દ્વારા SIRની સુનાવણી

CJI જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બાગચીની બેન્ચે 26 નવેમ્બરના રોજ SIRની બંધારણીય માન્યતા પર સુનાવણી કરી. આ અરજી પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યો તરફથી દાખલ કરાઈ છે. બુધવારે કેસની સુનાવણી દરમિયાન, પશ્ચિમ બંગાળ અને કેરળ રાજ્ય તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર રહ્યા હતા. તેમણે આધાર કાર્ડ હોવા છતાં લોકોને મતદાર યાદીમાંથી બાકાત રાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

બંધારણીય નૈતિકતા vs મતદાનનો અધિકાર: SCમાં દલીલ

આ મામલે CJI સૂર્યકાંતે કહ્યું, 'માની લો કે કેટલાક લોકો પડોશી દેશોમાંથી ભારતમાં ઘૂસી આવ્યા છે. તેઓ ભારતમાં કામ કરી રહ્યા છે, ભારતમાં રહી રહ્યા છે. કોઈ ગરીબ રિક્ષા ચલાવનાર છે, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂર છે. તમે તેને આધાર કાર્ડ આપો છો, જેથી તે સબસિડીવાળું રાશન કે અન્ય કોઈ યોજનાનો લાભ લઈ શકે. આ આપણા બંધારણીય મૂલ્યોનો ભાગ છે, આપણી બંધારણીય નૈતિકતા છે. પરંતુ શું આનો અર્થ એવો થાય છે કે તેને આ લાભ આપવામાં આવ્યો છે, તો હવે તેને મતદાર પણ બનાવી દેવો જોઈએ?'

આ મામલે કપિલ સિબ્બલે વધુમાં કહ્યું કે, 'હું એક નાગરિક છું, હું અહીં રહું છું. મારી પાસે આધાર કાર્ડ છે, તે મારું ઘર છે. જો તમે તેને છીનવવા માંગતા હો, તો એક નિર્ધારિત પ્રક્રિયા દ્વારા છીનવો અને તે પ્રક્રિયા તમારી સમક્ષ નક્કી થવી જોઈએ.'

આના પર CJIએ બિહાર SIRનું ઉદાહરણ આપતાં કહ્યું કે, 'બિહારમાં ખૂબ ઓછી તકલીફ પડી હતી. જો એવા ઉદાહરણો હોય, જ્યાં કોઈ વ્યક્તિ ખરેખર નિવાસી હોય, ભારતનો નાગરિક હોય અને તેને બહાર રાખવામાં આવ્યો હોય, તો અમે આતુરતાથી તે ઉદાહરણોની શોધમાં છીએ. જેથી અમે પ્રક્રિયાની ભૂલને સુધારી શકીએ.'

આ પણ વાંચો: 'અમે SIR પર રોક નહીં લગાવીએ પણ...' બિહારનું ઉદાહરણ આપી જુઓ સુપ્રીમ કોર્ટે શું કહ્યું

સોફ્ટવેર માત્ર ડુપ્લિકેટ મતદાર જ હટાવી શકે, મૃત્યુ પામેલા નહીં: જસ્ટિસ બાગચી

સિબ્બલે સવાલ ઉઠાવ્યો કે, 'જો કોઈ મતદાર મતદાનના દિવસે પોલિંગ બૂથ પર જાય અને તેને ખબર પડે કે તેનું નામ ત્યાં નથી, તો તે શું કરશે?' CJI એ કહ્યું કે, 'જ્યાં સુધી બિહારનો સવાલ છે, મીડિયા દરરોજ રિપોર્ટિંગ કરી રહ્યું હતું. તેનાથી દૂર-દૂરના વિસ્તારોમાં બેઠેલા લોકોને પણ ખબર હશે કે શું થઈ રહ્યું છે. ક્યારેક મીડિયાને પણ ક્રેડિટ આપવી જોઈએ. બિહાર માટે SIR પર દરરોજ મીડિયા રિપોર્ટ્સ આવતા હતા. જો દૂર-દૂરના વિસ્તારમાં બેઠેલા કોઈપણ વ્યક્તિને ખબર હોય કે કંઈક થઈ રહ્યું છે, એક લિસ્ટ તૈયાર થઈ રહી છે, એક નવી મતદાર યાદી આવી રહી છે, તો શું કોઈ કહી શકે કે મને ખબર નહોતી કે શું થયું!'

આ મામલે કપિલ સિબ્બલે પોતાની વાત સમજાવતાં કહ્યું કે, 'મારો કહેવાનો અર્થ એવો નથી કે ચૂંટણી પંચ પાસે કોઈ શક્તિ નથી. હું માત્ર પ્રક્રિયાની વાત કરી રહ્યો છું, જે બધાને સાથે લઈને ચાલનારી હોવી જોઈએ. કોઈ વાત સાબિત કરવા માટે મતદાર પર ભાર નાખવાની કોઈપણ કોશિશ આપણી બંધારણીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. હવે ડુપ્લિકેટ મતદારોને શોધવા અને તેમને દૂર કરવા માટે સોફ્ટવેર છે. બૂથ લેવલ ઑફિસર્સને મતદારોને દૂર કરવા માટે આટલો પાવર આપવાની કોઈ જરૂર નથી.'

આના પર જવાબ આપતાં જસ્ટિસ બાગચીએ કહ્યું કે સોફ્ટવેર માત્ર ડુપ્લિકેટ મતદારોને જ દૂર કરી શકે છે, મૃત્યુ પામેલા મતદારોને નહીં. આ બધું રાજકીય પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. જો એક રાજકીય પાર્ટી વધુ મજબૂત હોય, તો તે બધા મૃત્યુ પામેલા મતદારોને પોતાના પક્ષમાં કરી લે છે. અમે હવામાં ચુકાદો આપતા નથી. એટલા માટે મૃત્યુ પામેલા મતદારોને દૂર કરવાની જરૂર છે.'

આ પણ વાંચો: હું પણ CM બનવાની રેસમાં છું, પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય: કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ

BLOsના સર્વેમાં ભૂલો થવી અસંભવ નથી: જસ્ટિસ બાગચી

જસ્ટિસ બાગચીએ BLOsના સર્વેમાં ભૂલોના મુદ્દા પર કહ્યું, 'એવું નથી કે સર્વે હંમેશા 100% સાચો હોય. એટલા માટે જ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવે છે. જ્યારે પણ તે ડ્રાફ્ટ રોલમાં કોઈ ભૂલ હોય, તો અમે કહ્યું કે આ જ કારણ છે કે મૃત અને સ્થળાંતરિત થયેલા લોકોની લિસ્ટ માત્ર વેબસાઇટ્સ પર જ નહીં, પણ પંચાયતો અને બીજી જગ્યાઓ પર પણ અપલોડ કરવામાં આવે છે.'

ડેડલાઇન વધારી શકાય છે: SC

આ દરમિયાન, કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે જો જરૂર પડે, તો તે ડ્રાફ્ટ મતદાર યાદીની ડેડલાઇન વધારવાનો નિર્દેશ પણ આપી શકે છે. તમને જણાવી દઈએ કે SIRના બીજા તબક્કાના શેડ્યુલ મુજબ, ગણતરીના ફોર્મ 4 ડિસેમ્બર સુધીમાં જમા કરવાના રહેશે, જ્યારે ડ્રાફ્ટ રોલ 9 ડિસેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે.