Get The App

હું પણ CM બનવાની રેસમાં છું, પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય: કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
હું પણ CM બનવાની રેસમાં છું, પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય: કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ 1 - image

Karnataka Politics: કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમાર વચ્ચેના કથિત સત્તા-વહેંચણી કરારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 'હું પણ CM બનવાની રેસમાં છું. જો કોંગ્રેસ હાઇકમાન્ડ ડી. કે. શિવકુમારને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેશે, તો તેમને તે સંપૂર્ણપણે સ્વીકાર્ય હશે.'

'હાઇકમાન્ડનો નિર્ણય અંતિમ રહેશે'

ગૃહમંત્રી જી. પરમેશ્વરનું આ નિવેદન સિદ્ધારમૈયાની છાવણી તરફથી આવતા સંકેતોમાં સૌથી મજબૂત માનવામાં આવી રહ્યું છે, કારણ કે તે સત્તા પરિવર્તનની શક્યતાનો સ્વીકાર કરે છે. પત્રકારો સાથે વાત કરતાં જી. પરમેશ્વરે કહ્યું, 'જ્યારે મને મુખ્યમંત્રી પદ માટેની મારી આકાંક્ષાઓ વિશે પૂછવામાં આવે છે, ત્યારે હું કહું છું કે હું રેસમાં છું.'

તેમણે ઉમેર્યું કે, 'જો પાર્ટી હાઇકમાન્ડ ટ્રાન્ઝિશન(સત્તા પરિવર્તન)ને મંજૂરી આપે અને ડી. કે. શિવકુમાર મુખ્યમંત્રી બને, તો અમે તેને સ્વીકારીશું. જો પક્ષ દ્વારા સંક્રમણને મંજૂરી આપવામાં આવે, તો તે સરળ અને શાંતિપૂર્ણ રહેશે.' આ ઉપરાંત તેમણે સ્પષ્ટતા કરી કે આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડનો જ રહેશે.

આ પણ વાંચો: કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું

નેતૃત્વને લઈને ખેંચતાણ ચરમસીમા પર

મુખ્યમંત્રી પદને લઈને કર્ણાટકમાં અટકળો ચરમસીમાએ પહોંચી ગઈ છે, કારણ કે સિદ્ધારમૈયાએ તેમના અઢી વર્ષ પૂરા કરી લીધા છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે પણ એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, 'શબ્દોની શક્તિ એ દુનિયાની સૌથી મોટી શક્તિ છે, અને વચનો પાળવા એ સૌથી મોટી શક્તિ છે.' આ નિવેદનને અઢી વર્ષના સત્તા-વહેંચણી કરારનું પાલન કરવાની અને સત્તા પરિવર્તનની માંગણીઓના સંકેત તરીકે જોવામાં આવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નિવેદન

કર્ણાટકમાં સત્તાના નેતૃત્વ પરિવર્તનના મુદ્દે હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન પણ આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટતા કરી કે, 'અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. બધા સાથે ચર્ચા કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. હું એકલો નથી, અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ. હાઇકમાન્ડની ટીમ સર્વસંમતિથી નિર્ણય લેશે.'