તમિલનાડુનો સ્ટરલાઈટ કોપર પ્લાન્ટ બંધ રાખવા સુપ્રીમ કોર્ટનો આદેશ
- પ્રદૂષણના મામલે હિંસક વિરોધ પછી રાજય સરકારે પ્લાન્ટ બંધ કરાવ્યો હતો
- પાણી પ્રદૂષણ ફેલાવતું હોવાથી ગત મે માસમાં સ્થાનિક, પર્યાવરણપ્રેમીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો
Updated: Feb 18th, 2019
આ કેસ ચલાવવાની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને કોઈ જ સત્તા નથી : સુપ્રીમ
નવીદિલ્હી, તા.18 ફેબ્રુઆરી, 2019, સોમવાર
તામિલનાડુમાં પાણી પ્રદૂષણના મામલે ઉગ્ર વિરોધ પછી રાજય સરકારના આદેશથી બંધ કરાયેલા વેદાન્તા ગુ્રપના વિવાદીત સ્ટરલાઈટ કોપર મેલ્ટીંગ પ્લાન્ટને બંધ જ રાખવાનોે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે.
પાણીનું પ્રદૂષણ ફેલાતું હોવાથી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતા તામિલનાડુ સરકારને વેદાન્તા ગુ્રપના સ્ટરલાઈટ કોપર સ્મેલ્ટીંગ પ્લાન્ટને બંધ કરાવવા આદેશ કર્યો હતો.
રાજય સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ પ્લાન્ટ બંધ કરાવ્યો હતો અને રાજય સરકારે તેનું વીજ જોડાણ પણ કાપી નાખ્યું હતું. જો કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આ પ્લાન્ટ ફરી ચાલુ કરી શકાય તેવું જણાવતા આ મામલે રાજકીય વિવાદ થયો હતો. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના પ્લાન્ટ ફરી શરૃ કરવાના આ આદેશ સામે તામિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.
દરમિયાન વેદાન્તા ગુ્રપે સુપ્રીમમાં દાદ માગી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાા આદેશનો અમલ કરવા રાજય સરકારને આદેશ આપવા માગણી કરી હતી. આ કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા જણાવ્યું કે આ કેસ ચલાવવાની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને સત્તા નથી. જો કે ઠુઠુકુડી જિલ્લામાં આવેલ સ્ટરલાઈટ કોપર મેલ્ટીંગ પ્લાન્ટ ફરી ચાલુ કરાવવા મંજુરી આપવા માટે વેદાન્તા ગુ્રપ મદ્રાસ હાઈકોર્ટમાં જઈ શકે છે.
જસ્ટીસ આર.એફ.નરીમાનના વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની આ બેચેં માત્ર કાયદો વ્યવસ્થાની જાળવણી પૂરતો જ ગ્રીન કોર્ટના આદેશને માન્ય રાખી શકાય તેમ જણાવ્યું હતું.
આ પ્લાન્ટથી પાણી પ્રદૂષણ ફેલાતું હોવાથી ગત મે માસમાં લોકોનો ઉગ્ર વિરોધ થયો હતો અને આ વિરોધ હિંસક બન્યો હતો. દેખાવકારો ઉપર પોલીસના ગોળીબારમાં ૧૩ લોકોના મોત થયા હતા.
આથી તામિલનાડુ સરકારે રાજય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ પ્લાન્ટને સીલ મારી કાયમી ધોરણે બંધ કરવા આદેશ આપ્યો હતો.ગત મે માસમાં લોકોના ઉગ્ર વિરોધ બાદ રાજય સરકારે પ્લાન્ટનું વીજ જોડાણ પણ કાપી નાખ્યું હતું.
સ્થાનિક લોકો અને પર્યાવરણપ્રેમીઓનું કહેવું છે કે આ પ્લાન્ટથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય છે અને પ્રદૂષિત પાણીના લીધે કેટલાય લોકોને ગંભીર રોગો પણ લાગુ પડયા છે.