Supreme Court Live-in Relationship Case : સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપ અને લગ્ન કરવાનું ખોટું વચન આપી યૌન શોષણ કર્યું હોવાનો આક્ષેપ કરતી અરજી પર આજે સુનાવણી કરતી વખતે મહિલાને વેધક ટિપ્પણી કરી છે. મધ્યપ્રદેશમાં એક મહિલા લિવ-ઈન રિલેશનશીપમાં એક પુરુષ સાથે 15 વર્ષ રહી હતી, ત્યારબાદ મહિલાએ પુરુષ વિરુદ્ધ યૌન શોષણ સહિતનો આક્ષેપ કરીને પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી, જેને મધ્યપ્રદેશ હાઈકોર્ટે રદ કરી દેતા મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
15 વર્ષ સાથે રહ્યા બાદ મહિલાનો પુરુષ પર યૌન શોષણનો આક્ષેપ
આ કેસમાં સુપ્રીમ કોર્ટના જજ બી.વી.નાગરત્ના અને જજ ઉજ્જવલ ભુઈયાની બેંચે મહિલાને સવાલ કર્યો છે કે, જ્યારે પરસ્પર સંમતીથી સંબંધો બંધાયા હોય, ત્યારે તેમાં ગુનો ક્યાં બને? મહિલા-પુરુષ લગ્ન કર્યા વગર 15 વર્ષ સુધી સાથે રહ્યા, તેઓને સાત વર્ષનું બાળક પણ છે અને હવે મહિલા યૌન શોષણનો આક્ષેપ કરી રહી છે.
‘લિવ-ઈન રિલેશનશિપમાં આવું જોખમ તો રહે જ છે’
મહિલાના વકીલે કોર્ટમાં દલીલ કરી કે, ‘મહિલાના પહેલા પતિનું નિધન થયા બાદ તેણીના જીજાએ આરોપી સાથે તેની મુલાકાત કરાવી હતી. ત્યારપછી આરોપીએ મહિલાને લગ્ન કરવાનું વચન આપી યૌન શોષણ કર્યું હતું.’ તો કોર્ટે કહ્યું કે, ‘મહિલા લગ્ન પહેલા તે પુરુષ સાથે જઈને કેમ રહેવા લાગી? મહિલા પુરુષની સાથે રહી હતી, જેમાં તેમને એક બાળક પણ છે. હવે તે પુરુષ સંબંધો તોડીને જતો રહ્યો છે, કારણ કે તેઓએ લગ્ન કર્યા નથી અને બંને વચ્ચે કોઈ કાયદાકીય બંધન પણ નથી. લિવ-ઈન રિલેશનશિપમાં આવું જોખમ તો રહે જ છે, તેથી પુરુષ સંબંધો તોડીને જતો રહ્યો હતો, તો તે કોઈ ગુનો ન કહેવાય.’
આ પણ વાંચો : ‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
મહિલાના વકીલે એવું પણ કહ્યું કે, આરોપીએ પોતાના પ્રથમ લગ્ન છુપાવીને મહિલાને લગ્ન કરવાનું ખોટું વચન આપ્યું હતું. તો બેંચે કહ્યું કે, ‘જો પુરુષે લગ્ન કર્યા હોત તો મહિલાને મળતા અધિકારોનો કેસ વધુ મજબૂત થાય. મહિલા પુરુષના બીજા લગ્ન વિરુદ્ધ કેસ કરી શકતી હતી, તે ભરણપોષણ માટે પણ કેસ કરી શકતી હતી, જોકે તેમના લગ્ન થયા નથી અને તેઓ માત્ર સાથે રહેતા હતા, તો તેમાં આવું જોખમ તો રહે છે. તે કોઈપણ દિવસે સંબંધો તોડીને અલગ થઈ શકે છે. હવે અમે આમાં શું કરી શકીએ?’
સુપ્રીમ કોર્ટે મહિલાને આપી સલાહ
સુપ્રીમ કોર્ટે સલાહ આપી છે કે, મહિલા અન્ય કાયદાકીય રસ્તો અપનાવીને બાળક માટે ભરણપોષણની માંગ કરી શકે છે. આ ઉપરાંત કોર્ટે બંનેને પરસ્પર સમાધાન કરવાની પણ સલાહ આપી છે. જજ નાગરત્નાએ કહ્યું કે, ‘આ કેસમાં ભલે પુરુષ જેલ જતો રહે, પરંતુ તેનાથી મહિલાને શું લાભ થશે? બાળકને ભરણપોષણ મળે તે માટે અમે વિચારી શકીએ છીએ. બાળક હવે સાત વર્ષનો થઈ ગયો છે. અમે ઓછામાં ઓછું બાળક માટે ભરણપોષણ માટે કંઈક કરી શકીએ છીએ.’ સુપ્રીમ કોર્ટે બંને પક્ષો વચ્ચે સમજૂતીની સંભાવનાઓ શોધવા માટે નોટિસ પાઠવી છે.
આ પણ વાંચો : આમ આદમી પાર્ટીમાં બળવાથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ ફાયદો? આ રાજ્યોમાં 'જેકપોટ' લાગી શકે


