‘ચૂંટણી પંચ, તૈયાર રહેજો, અમે તમને...’ બિહારમાં SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, ECએ પણ આપ્યો જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bihar SIR Case in Supreme Court : સુપ્રીમ કોર્ટે બિહારમાં SIR(સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ને પડકાર ફેંકતી અરજીઓ પર આજે (12 ઑગસ્ટ) સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે મતદાર સંબંધીત તથ્યો અને આંકડા મામલે કેટલાક પ્રશ્નોનો જવાબ આપવા માટે ચૂંટણી પંચને તૈયાર રહેવા કહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચે કોર્ટને કહ્યું કે, આવા અભ્યાસમાં કેટલીક ખામીઓ હોવી સ્વાભાવિક છે. સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી 12 અને 13 ઑગસ્ટે હાથ ધરવાનું નક્કી કર્યું છે.
ગુમ મતદારોની અલગ યાદી બનાવવાની જરૂર નથી : EC
અગાઉ ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, અમારે કાયદા હેઠળ ડ્રાફ્ટ યાદીમાંથી ગુમ થયેલા લોકોના નામોની અલગ યાદી બનાવવાની જરૂર નથી. ના તો યાદી શેર કરવાની કે કોઈ કારણસર તેમના નામો શામેલ ન થવાના કારણોને પ્રકાશિત કરવાની જરૂર છે. વાસ્તવમાં પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એસઆઇઆર એટલે કે મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરુ કરી છે, જેને લઈને વિપક્ષો ભારે વિરોધ કરી રહ્યા છે.
‘વિપક્ષો માત્ર સંસદ અને રસ્તા પર દેખાવો કરી રહ્યા છે’
આ પહેલા ચૂંટણી પંચે સોમવારે (11 ઑગસ્ટ) કહ્યું હતું કે, વિપક્ષો માત્ર સંસદ અને રસ્તા પર દેખાવો કરી રહ્યા છે. બિહારમાં નિયમો હેઠળ એસઆઇઆર પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ તૈયાર કરાયેલી મતદારોની ડ્રાફ્ટ યાદી મામલે એક પણ વાંધો આવ્યો નથી. 11 દિવસ બાદ કોઈપણ પાર્ટી દ્વારા નામ હટાવવાની કે જોડવા માટે કોઈપણ અરજી કરવામાં આવી નથી.
આ પણ વાંચો : દિલ્હી બાદ રાજસ્થાનમાં રખડતાં શ્વાનને હટાવવા આદેશ, કોઈ વચ્ચે આવ્યું તો FIR થશે
બિહારમાં કુલ 7.89 કરોડમાંથી 7.24 કરોડથી વધુ મતદારોએ ફોર્મ જમા કરાવ્યું
ચૂંટણી પંચે કહ્યું કે, બિહારમાં 24 જૂનથી 25 જુલાઈ સુધી હાથ ધરાયેલ SIR પ્રક્રિયા હેઠળ અત્યાર સુધીમાં વ્યક્તિગત મતદારો દ્વારા 10,570 ફોર્મ મળ્યા છે, ત્યાર બાદ તેમાંથી કેટલાક મહત્ત્વના નિષ્કર્ષ જારી કર્યા છે. પંચના જણાવ્યા મુજબ 24 જૂન સુધીની SIR પ્રક્રિયામાં સામે આવ્યું છે કે, બિહારમાં કુલ 7.89 મતદારો હતા, જેમાંથી 7.24 કરોડથી વધુ મતદારોએ પોતાના ફોર્મ જમા કરાવ્યા છે, જ્યારે 22 લાખ મતદારો મૃત્યુ પામ્યા હોવાનું, 36 લાખ મતદારો કાયમ માટે બીજે જતા રહ્યા હોવાનું, જ્યારે સાત લાખ મતદારોના નામ અનેક ક્ષેત્રોમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસે વોટ ચોરીને લગાવેલો આરોપ પાયાવિહોણો : ચૂંટણી પંચ
વિપક્ષ ચૂંટણી પંચ પર વોટ ચોરીનો આરોપ લગાવી રહી છે, ત્યારે આ મુદ્દે પંચે કહ્યું કે, હકીકતમાં વિપક્ષના દાવા ખોટા છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર બિહારમાં SIR મામલે ફેક્ટ ચેક શેર કર્યું છે, જેમાં SIR પ્રક્રિયામાં પારદર્શિતા દાખવી હોવાના પુરાવા પણ શેર કર્યા છે. આ પુરાવાઓમાં રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, અને ભાજપા જેવા દળોના પ્રતિનિધિઓના વીડિયો પુરાવા તરીકે સામેલ હતા.
આ પણ વાંચો : કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના









