Supreme Court Big Relief for Loan Defaulters : દેશના વ્યાપારી સંગઠનો અને ઉદ્યોગસાહસિકો માટે સુપ્રીમ કોર્ટ તરફથી એક બહુ જ મોટો અને રાહત આપતો ચુકાદો સામે આવ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો બેંક અને લોન લેનાર દેવાદાર (કર્જદાર) વચ્ચે ખાતાના સેટલમેન્ટ માટે પરસ્પર સમજૂતી કે કરાર થઈ ચૂક્યા હોય, તો ત્યારબાદ લોન ડિફોલ્ટર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ગુનાઈત (ક્રિમિનલ) કાર્યવાહી ચાલુ રાખી શકાય નહીં. અદાલતે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે સેટલમેન્ટ પછી પણ આવી કાયદાકીય કાર્યવાહીઓ ચાલુ રાખવાની મંજૂરી આપવી એ માત્ર હેરાનગતિ જ નથી, પરંતુ તેનાથી દેશના સમગ્ર અર્થતંત્ર પર વિપરીત અસર પડી શકે છે.
સુપ્રીમ કોર્ટે શું અવલોકન કર્યું?
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે એક ઉદ્યોગપતિની અરજી પર સુનાવણી કરતા આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે અને તેમની સામે ચાલી રહેલા તમામ ક્રિમિનલ કેસોને ફગાવી દીધા છે. કોર્ટે જણાવ્યું હતું કે બેંકિંગ સાથે જોડાયેલા તમામ વ્યવહારો મૂળભૂત રીતે વ્યાપારી અને નાણાકીય પ્રકૃતિના હોય છે. જ્યારે બે પક્ષો આપસી સહમતિથી વિવાદનો અંત લાવી ચૂક્યા હોય, ત્યારે ત્યારબાદ પણ ગુનાહિત કેસ ચલાવવો એ ન્યાયિક પ્રક્રિયાનો સરેઆમ દુરુપયોગ છે. આવા કિસ્સાઓમાં આરોપીને દોષિત ઠેરવવાની કોઈ શક્યતા રહેતી નથી અને કેસ ખેંચવો એ અન્યાય સમાન છે.
શું હતો સમગ્ર વિવાદ?
આ મામલાની વિગતો એવી છે કે એક બિઝનેસમેને ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) ની સમક્ષ બેંક સાથે વન ટાઇમ સેટલમેન્ટ કર્યું હતું. આ કરાર અંતર્ગત તેમણે કુલ 6.49 કરોડ રૂપિયાના બાકી લેણાંની સામે 4.25 કરોડ રૂપિયાની ચુકવણી બેંકને કરી દીધી હતી, જેમાં 3.09 કરોડ રૂપિયા વ્યાજની રકમનો પણ સમાવેશ થતો હતો. આ સેટલમેન્ટના બે વર્ષ પૂરા થયા બાદ, બેંકે આરોપ લગાવ્યો કે આ બિઝનેસમેને ઓડિટ રિપોર્ટની નકલી નકલો રજૂ કરીને પોતાની કેશ ક્રેડિટ લિમિટ વધારવા માટે છેતરપિંડી અને જાળસાજી કરી હતી, જેના આધારે સીબીઆઈ (CBI) એ તપાસ કરીને ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે હવે આ ચાર્જશીટ રદ કરી દીધી છે.
દેશના અર્થતંત્ર પર શું અસર થશે?
સુપ્રીમ કોર્ટની બેંચે દેશના વ્યાપારી માહોલને બચાવવા માટે આ ચુકાદામાં એક ખૂબ જ મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જો ટ્રિબ્યુનલ (DRT) સમક્ષ સત્તાવાર સેટલમેન્ટ થઈ ગયા પછી પણ ઉદ્યોગપતિઓ પર કાયદાનો કોરડો વીંઝવામાં આવશે, તો વ્યાપારી સંસ્થાઓ બેંકિંગ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ લાવતા અચકાશે. જો દેશના ઉદ્યોગ સાહસિકોમાં આવો ડર રહેશે તો તેઓ સેટલમેન્ટ માટે આગળ નહીં આવે, જેનાથી છેવટે બેંકોના નાણાં પણ ફસાશે અને દેશના આર્થિક વિકાસની ગતિ ધીમી પડી જશે.


