આત્મઘાતી હુમલાખોરે કાશ્મીરીઓને કહ્યુ હતું કે, પ્રેમમાં ના પડતા, મહિલાઓ પરદામાં રહે
Updated: Feb 16th, 2019
નવી દિલ્હી,તા.16.ફેબ્રુઆરી 2019, શનિવાર
પુલવામામાં સીઆરપીએફના જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો કરનાર કાશ્મીરી આતંકવાદી આદિલ અહેમદ દારે આખરી સંદેશો આપ્યો હતો.જેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ સંદેશામાં તેણે ભારત સામે ઝેર ઓકવાની સાથે સાથે કટ્ટરવાદી વિચારણસરણી પણ જાહેર કરીને કાશ્મીરીઓને ભડકાવવાની પણ કોશિશ કરી હતી.તેણે સંદેશામાં કહ્યુ હતુ કે પ્રેમમાં પડતા નહી.
પુલવામાના ગુંડીબાગ ગામના રહેવાસી એવા દારે વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિઓ કાર સીઆરપીએફના કાફલામાં ઘુસાડી દઈને બ્લાસ્ટ કર્યો હતો.આતંકવાદીએ સંદેશામાં કહ્યુ હતુ કે જ્યાં સુધીમાં આ સંદેશો તમારી પાસે આવશે ત્યાં સુધીમાં હું સ્વર્ગમાં હોઈશ.કાશ્મીરના લોકો માટે આ મારો આખરી સંદેશ છે.જૈશે મહોમ્મદે આગ પ્રગટાવેલી રાખી છે અને ખરાબ પરિસ્થિતિમાં પણ ટકી રહેવાનુ કામ કર્યુ છે.તમે પણ આવો અને કયામતની રાત માટે તૈયારી કરો.
તેણે કાશ્મીરી યુવાઓને પ્રેમથી દુર રહેવાની અપીલ કરતા કહ્યુ હતુ કે મુસ્લિમ મહિલાઓએ પરદામાં રહેવુ જોઈએ.હું મારા તમામ મિત્રો, સબંધીઓને અપીલ કરુ છું કે મારી શહાદતની ઉજવણી કરજો.ભારત સેનાની મદદથી જંગ નહી જીતી શકે.તેઓ તમને ધર્મના રસ્તા પરથી દુર લઈ જવાની કોશિશ કરી રહ્યા છે.તેઓ ઈચ્છે છે કે તમે ઈસ્લામના સિધ્ધાંતોથી ભટકી જાઓ.આ માટે તેઓ દુનિયાભરની સુખ સગવડોની લાલચ તમને આપી રહ્યા છે.