સમયસરનું નિદાન જીવનભરની વિકલાંગતા ટાળી શકે
સામાન્યપણે વૃદ્ધોને થતી ડાયાબીટીસની સમસ્યા યુવા વર્ગમાં પણ જોવા મળતા વિશેષજ્ઞાોએ ચિંતા વ્યક્ત કરી
મેડિકલ નિષ્ણાંતોએ સ્પષ્ટતા કરી છે કે સતત હાઈ બ્લડ સુગર કોલેજેન, ટેન્ડન્સ, લિગામેન્ટ્સ અને નસોને નુકસાન પહોંચાડે છે. ગ્લુકોઝનું વધુ પ્રમાણ એડ્વાન્સ્ડ ગ્લાયકેશન એન્ડ પ્રોડક્ટ્સ તરફ દોરી જાય છે જેના કારણે જોડાયેલી પેશીઓ જાડી અને સખત બની જાય છે. લોહી પૂરવઠામાં ઘટાડો થવાથી તેમજ લાંબો સમય સોજો રહેવાને કારણે ટેન્ડન ડીજનરેશન, હલનચલનની સમસ્યા અને સાંધામાં પીડાનું જોખમ વધી જાય છે.
ઓર્થોપેડિક નિષ્ણાંતોએ નોંધ કરી છે કે સ્નાયુ અને હાડકાની ફરિયાદો ઘણીવાર નિદાન ન થયેલા અથવા યોગ્ય રીતે નિયંત્રિત ન થયેલા ડાયાબીટીસની પ્રથમ ચેતવણી સાબિત થાય છે. ફ્રોઝન શોલ્ડરની સમસ્યા ડાયાબીટીસના લગભગ ૨૦થી ૩૦ ટકા દર્દીઓને થાય છે જ્યારે તેની સરખામણીએ સામાન્ય વસતીમાં આ પ્રમાણ બે થી ત્રણ ટકા જેટલું જ હોય છે. અન્ય ગૂંચવણોમાં ડાયાબીટીક હેન્ડ સીન્ડ્રોમ, ડુપુટ્રેનનું સંકોચન, ચેરકોટ આર્થરોપેથી, ઓસ્ટીયોપોરોસીસ અને આગળ વધેલું ઓસ્ટીઓઆર્થરાઈટીસ સામેલ હોય છે.
ડોક્ટરોએ ગતિશીલતા જાળવી રાખવા અને વિકલાંગતા ટાળવા ખાસ સમયસરના નિદાન અને અસરકારક બ્લડ સુગર નિયંત્રણને મહત્વ આપ્યું છે. સતત ખભાનો દુખાવો, આંગળીઓ જકડાઈ જવી અથવા સાંધાની સમજાવી ન શકાય તેવી જડતાની અવગણના ન થવી જોઈએ. ફીઝીયોથેરપી, કસરત, વિશિષ્ટ ઈંજેક્શનો અને કેટલાક કિસ્સામાં સર્જરી સહિતની સમયસરની સારવાર ડાયાબીટીસ સાથે જીવતા લોકોની સ્થિતિ અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકે.


