જયપુરની જેલમાં એક પાકિસ્તાની કેદીની સાત કેદીએ મળીને હત્યા કરી
- જાસુસી કેસમાં જેલ ભોગવી રહેલ શકીઉલ્લાહ અને અન્યો વચ્ચે ટીવી બાબતે બબાલ હતી
Updated: Feb 21st, 2019
જયપુર, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર
પુલવામામાં આંતકી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આમ પણ તંગદીલી ઊભી થઇ છે ત્યારે રાજસ્થાનના જયપુરમાં એક પાકિસ્તાની કેદની હત્યાના સમાચાર મળ્યા હતા. આજે જયપુરની જેલમાં પાકિસ્તાની કેદી શકીઉલ્લાહની સાત અન્ય કેદીઓએ હત્યા કરી નાંખી હતી.
પોલીસે કહ્યું હતું કે તેમની વચ્ચે ટીવીના અવાજને લઇને ઝગડો થયો હતો જે અંતે મારામારીમાં પરિણ્મ્યો હતો.
આજીવન કેદ ભોગવી રહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સિયાલકોટના રહેવાસી શકીઉલ્લાહને ત્રણ અથવા ચાર કેદીઓએ ઢોર માર માર્યો હતો. જેલ અધિકારીઓએ કહ્યું હતું કે શકીઉલ્લાહને જાસુસીના કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. તેને ૨૦૧૧થી જેલના ખાસ સેલમાં રાખવામાં આવ્યા હતો.
શકીઉલ્લાહ અને તેના સાત સથીઓને દેશના યુવાનોને કટ્ટર બનાવવાના આરોપસર પકડી લેવામાં આવ્યા હતા.રાજસ્થાનની આતંકવાદ વિરોધી ટીમે જાસુસીના આરોપસર સાત જણાને પંજાબથી લાવવામાં આવ્યા હતા. તેમની સામે ગેરકાયદે પ્રવૃત્તિઓ (અટકાયત ) ધારા હેઠળ કેસ કરાયા હતા. જેલના અધિકારી અનુસાર, આજે જેલમાં ટીવીનો અવાજ ઓછો કરવાના મુદ્દે ઝગડો થયો હતો. હત્યા પછી રાજ્ય પોલીસ અને જેલ વહીવટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા.