દિલ્હીમાં વહીવટી સેવાઓના અધિકાર મુદ્દે સુપ્રીમનો ચુકાદો બંધારણ અને લોકશાહીની વિરુદ્ધ ઃ કેજરીવાલ
ચુકાદા અંગે કાયદાકીય સલાહ લેવામાં આવશે
કોેઇ પણ પ્રકારની સત્તા વગર સરકાર કેવી રીતે ચલાવવી? : દિલ્હીના મુખ્યપ્રધાન
Updated: Feb 14th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪
દિલ્હીમાં વહીવટી સેવાઓના અધિકાર મુદ્દે કેન્દ્ર અને દિલ્હીની સરકાર વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ અંગે સુપ્રીમે આપેલા ચુકાદાથી દિલ્હીની કેજરીવાલ સરકારને આંચકો લાગ્યો છે. કેજરીવાલે જણાવ્યું છે કે સુપ્રીમનો ચુકાદો બંધારણ અને લોકશાહીની વિરુદ્ધ છે.
સુપ્રીમ કોર્ટે પોલીસ અને એસીબી પર અંકુશનો અધિકાર કેન્દ્ર સરકારને આપતા કેજરીવાલે અનેક પ્રશ્રો ઉઠાવ્યા છે.
આ ચુકાદા પછી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી જણાવ્યું હતું કે સુપ્રીમનો ચુકાદો બંધારણ અને દિલ્હીના લોકોની વિરુદ્ધ છે. અમે આ ચુકાદા અંગે કાયદાકીય સલાહ લઇશું. કેજરીવાલે જણાવ્યું હતું કે અમારી પાસે કોઇ અધિકાર જ નથી તો અમે કેવી રીતે સરકાર ચલાવીશું.
અમારી પાસે દિલ્હીમાં ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો હોવા છતાં અમે અધિકારીઓની બદલી કરી શકતા નથી. જ્યારે ત્રણ બેઠકો ધરાવતી ભાજપ સરકાર પાસે અધિકારીઓની બદલી કરવાની સત્તા છે.
આ ચુકાદા પછી કેજરીવાલે દિલ્હીની પ્રજાને અપીલ કરી છે કે તે દિલ્હીની તમામ સાત લોકસભા બેઠકો પર આપને વિજયી બનાવે જેથી તે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજજો અપાવવા માટે કેન્દ્ર પર દબાણ વધારી શકે.