એરિક્સનને રૃ. ૫૫૦ કરોડની બાકી રકમ ચૂકવવા ન બદલ સુપ્રીમની અનિલ અંબાણીને નોટિસ
આરકોમે ૧૧૮ કરોડ ચૂકવવાની તૈયારી બતાવી પણ એરિકસને એક સાથે સમગ્ર રકમ આપવા જણાવ્યું
રફાલ સમજૂતીના કારણે વિવાદમાં સપડાયેલા અનિલ અંબાણીની મુશ્કેલી વધી
Updated: Jan 7th, 2019
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૭
૫૫૦ કરોડ રૃપિયાની બાકી રકમ ન ચૂકવવા બદલ એરિક્શન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે દાખલ કરેલી અરજીના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ(આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણીને કન્ટેમ્પ્ટ નોટિસ ફટકારી છે.
ન્યાયમૂર્તિ આર એફ નારીમાન અને ન્યાયમૂર્તિ વીનિત શારનની બનેલી ખંડપીઠે અંબાણી અને અન્યને ચાર સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ રફાલ સમજૂતીના કારણે વિવાદમાં સપડાયેલા અનિલ અંબાણીની મુશ્કેલી વધી છે.
આરકોમ વતી હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબલ અને મુકુલ રોહતગીએ એરિક્સન ઇન્ડિયાને બાકી રકમની ચૂકવણીના સંદર્ભમાં શરૃઆતમાં ૧૧૮ કરોડ રૃપિયાની રકમ સ્વીકારવાની વિનંતી કરી હતી.
સ્વીડનની ટેલિકોમ કંપની એરિક્શન વતી હાજર રહેલા વકીલ દુષ્યંત દવેેએ જણાવ્યું હતું કે ૫૫૦ કરોડ રૃપિયાની સમગ્ર રકમનો જ સ્વીકાર કરશે. ૧૧૮ કરોડ રૃપિયા સ્વીકારશે નહીં.
દવેએ જણાવ્યું હતું કે આરકોમે પોતાની મિલકતો જિઓને વેચીને ૩૦૦૦ કરોડ રૃપિયા મેળવ્યા હોવા છતાં તેણે એરિક્સનને બાકરી રકમ ચૂકવી નહીં ચૂકવીને સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કર્યો હતો.
તેના જવાબમાં સિબલે જણાવ્યું હતું કે આરકોમ હાલમાં ૧૧૮ કરોડ રૃપિયા ચૂકવવા તૈયાર છે અને તે ટૂંક સમયમાં બાકીની રકમ ચૂકવી દેશે.
કેસની વધુ સુનાવણી પાંચ સપ્તાહ પછી રાખતા ખંડપીઠે આરકોમને જણાવ્યું હતું કે તમારે એક સાથે જ પૂરી રકમ જમા કરાવવી પડશે.