SBIના અર્થશાસ્ત્રીઓનો ફોર્મ્યુલા : પેટ્રોલમાં 17 અને ડીઝલમાં 13 રુપિયાનો ઘટાડો થઇ શકે છે, જો દાનત હોય તો...
Updated: Mar 4th, 2021
નવી દિલ્હી, તા. 4 માર્ચ 2021, ગુરુવાર
પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવના કારણે દેશના સામાન્ય નાગરિકમુશ્કેલીમાં મુકાયો છે. વિપક્ષ સતત આ મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસ કરી રહી છે. સામાન્ય લોકો પણ આ ભાવવધારાના કારણે સરકારથી નારાજ છે. દેશના અનેક વિસ્તારોમાં તો પેટ્રોલના ભાવે સદી ફટકારી છે.
તેવામાં આ બધા વચ્ચે દેશના અર્થશાસ્ત્રીઓએ એક ફોર્મ્યુલા તૈયાર કર્યો છે. એસબીઆઇ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અર્થશાસ્ત્રીઓ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેની અંદર એસબીઆઇની રિસર્ચ ટીમ દ્વારા પેટ્રોલ ડીઝલને GST અંતર્ગત લાવવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ કામ માટે રાજનૈતિક ઇચ્છાશક્તિ હોવી જે. એટલે ટૂંકમાં કહીએ તો જો સરકારની દાનત હોય તો આ કામ થઇ શકે છે.
જો સરકાર પેટ્રોલ ડીઝલને GST અંતર્ગત લાવે છે તો પેટ્રોલ 75 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 68 રુપિયા પ્રતિ લીટર મળશે. એટલે કે પેટ્રોલના ભાવની અંદર અંદાજે પ્રતિ લીટર 16 રુપિયા અને ડીઝલના ભાવની અંદર 13 રુપિયા જેવો ઘટાડો થઇ શકે છે.
એસબીઆઇની આ રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે જો પેટ્રોલ અને ડીઝલમાં GST લાગુ કરવામાં આવે તો રાજ્ય અને કેન્દ્ર સરકારની આવકમાં માત્ર એક લાખ કરોડ રુપિયાનો ઘટાડો થશે. જે GDPના માત્ર 0.4 ટકા જ છે. આસબાઇની આ રિપોર્ટને એસબીઆ ગ્રુપની મુખ્ય અર્થિક સલાહકાર ડો. સૌમ્યા કાંતિ ઘોષે તૈયાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલ રાજ્ય અને કેન્દ્ર સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે, જેના કારણે તેને GST અંગર્ગત લાવવામાં તેઓ ખચકાટ અનુભવે છે. પરંતુ અર્થશાસ્ત્રીઓ દ્વારા જે આંકડો આપવામાં આવ્યો છે તેના પરથી એવું લાગે છે કે સરકારને કોઇ મોટું નુકસાન થાય તેમ નથી.
અર્થશાસ્ત્રીઓએ રિપોર્ટમાં જણાવ્યું છે કે આ કઇ રીતે શક્ય બનશે. એક બેરલ ક્રુડ ઓઇલનો ભાવ 60 ડોલર છે, હવે આપણે એક ડોલરનો એક્ચેંજ રેટ 73 રુપિયા ગણવામાં આવ્યો છે. એક બેરલની અંદર 1129 લીટર ક્રુડ ઓઇલ આવે છે. રિપોર્ટવની અંદર ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ડીઝલ પર 7.25 રુપિયા અને પેટ્રોલ પર 3.82 રુપિયા ગણવામાં આવ્યો છે. ત્યારબાદ ડિલર કમિશન પેટ્રોલ પર 3.67 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 2.53 રુપિયા પ્રતિ લીટર ગણવામાં આવ્યું છે.
એસબીઆઇએ આ રિપોર્ટમાં ડીઝલ પર 20 રુપિયા સેસ અને પેટ્રોલ પર 30 રુપિયા પ્રતિ લીટર સેસ રાખવાની સલાહ આપી છે. જેમાંથી કેન્દ્ર અને રાજ્ય બંનેને ભાગ મળશે. ત્યારબાદ પેટ્રોલ પર 28 ટકા જેસટી લાગશે. જેના 14 ટકા કેન્દ્રને મળશે અને 14 ટકા રાજ્ય સરકારને મળશે.
ઉલ્લેખનીય છે કે અત્યારે પેટ્રોલ ડીઝલ પર રાજ્ય સરકાર પોતાની મરજી પ્રમાણે ટેક્સ વસુલે છે. જ્યારે કેન્દ્ર સરકાર સેસ અને ડ્યુટી નાંખીને કમાણી કરે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છએ કે પેટ્રોલ ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાથી કેટલાક રાજ્યોને નુકસાન થશે. સૌથી વધારે નુકસાન મહારાષ્ટ્રને થશે. રિપોર્ટમાં લગાવેલા અનુમાન પ્રમાણે મહારાષ્ટ્રને 10424 કરોડ રુપિયાનું નુકસાન થશે.
આ તરફ રાજસ્થાન સરકારની આવકમાં 6388 કરોડ અને મધ્ય પ્રદેશ સરકારની આવકમાં 5489 કરોડનો ઘટાડો થશે. તો આ તરફ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પશ્ચિમ બંગાળની આવકમાં વધારો થઇ શકે છે.પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જો સરકારની દાનત હશે.