ઝારખંડમાં સ્થિતિ વણસી: 6 સ્તરની સુરક્ષા તોડી વિધાનસભા તરફ હજારો વિદ્યાર્થીઓની કૂચ, વોટર કેનનનો ઉપયોગ કરાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ranchi Student Protests Turn Violent: BJP State Chief Detained Near Assembly | ઝારખંડના રાંચીમાં લાંબા સમયથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલને આજે ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. આજે સવારથી જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળી પડ્યા છે. આંદોલનને જોતાં વિધાનસભાની ચારેય તરફ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. જોકે વિદ્યાર્થીઓએ કેટલાક બેરિકેડ ઓળંગીને વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા છે.
6 બેરિકેડ તોડી ચૂક્યા છે વિદ્યાર્થીઓ
વિધાનસભાની સુરક્ષા માટે કુલ 7 લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. નવી અને જૂની વિધાનસભાના રસ્તા વચ્ચે 6 જગ્યાએ કડક બેરિકેડ્સ ઊભા કરાયા હતા. જોકે, આંદોલનકારી વિદ્યાર્થીઓએ એક પછી એક કરીને અત્યાર સુધીમાં 6 બેરિકેડ્સ તોડી નાખ્યા છે. હવે સાતમું અને છેલ્લું બેરિકેડ બાકી છે, જેને પણ વિદ્યાર્થીઓ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આ છેલ્લું બેરિકેડ તૂટશે તો વિદ્યાર્થીઓ સીધા વિધાનસભા પરિસરમાં પ્રવેશ કરી જશે.
આંદોલનના લાઈવ દૃશ્યો:
ભારતીય જનતા પાર્ટીના નેતાઓની અટકાયત
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આજે જ ધરણાં પર બેઠા હતા. ભારે સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહૂ સહિત અનેક વરિષ્ઠ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. રાંચીના SPએ પોલીસ જવાનોને ધીરજ રાખવા પણ હાંકલ કરી છે. જેથી જંતર મંતર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય. પોલીસે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે કૂચ કરવાની પણ અપીલ કરી છે. પોલીસની તૈયારી છે કે વિધાનસભા તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓને ફરીથી ધરણાં સ્થળ તરફ લઈ જવામાં આવે.
ઝારખંડની સરકારે કહ્યું- અમે મોટા ભાગની માંગણી સ્વીકારી
ઝારખંડના CM હેમંત સોરેનની સરકારના મંત્રી યોગેન્દ્ર પ્રસાદે આરોપ લગાવ્યો છે કે, વિદ્યાર્થીઓના આંદોલનમાં ભારતીય જનતા પાર્ટી પડદાં પાછળથી બેટિંગ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી વિદ્યાર્થીઓના આંદોલનને હાઈજેક કરવા માંગે છે.
ઝારખંડના અન્ય એક મંત્રી સુદિવ્ય સોનુએ કહ્યું છે કે, સરકારે હાઈ લેવલ સમિતિ બનાવીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહી છે. તેમની મોટા ભાગની માંગ સ્વીકારી લેવામાં આવી છે.
સીબીઆઈ તપાસના મુદ્દે પેચ ફસાયો
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુએ કહ્યું છે કે, મુખ્યમંત્રી સોરેને સ્પષ્ટ કરવું જોઈએ છે કે તેઓ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગે છે કે નહીં. વિદ્યાર્થીઓની માંગ છે કે સમગ્ર મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ તો તેમાં વાંધો શું છે? મુખ્યમંત્રી કોંગ્રેસ પાર્ટીના કહેવામાં આવી ગયા છે.









