કૃષિ કાયદા પરત લેવાયાઃ રાકેશ ટિકૈતે કહ્યું- PMની ઘોષણા અંગે વાતચીત બાદ નિર્ણય લેવાશે
Updated: Nov 19th, 2021
- ન્યૂનતમ સમર્થન મૂલ્ય અંગે કમિટી બનાવવા અને વીજળી અમેન્ડમેન્ટ સહિતના અન્ય મુદ્દે વાતચીત કરવાનું હજુ બાકીઃ ટિકૈત
નવી દિલ્હી, તા. 19 નવેમ્બર, 2021, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 11મા રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની ઘોષણા કરી હતી. ત્યાર બાદ ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, વડાપ્રધાને ત્રણેય કાયદા પરત લેવાની ઘોષણા કરી છે પરંતુ ન્યૂનતમ સમર્થન મૂલ્ય અંગે કમિટી બનાવવા અને વીજળી અમેન્ડમેન્ટ સહિતના અન્ય મુદ્દે વાતચીત કરવાનું હજુ બાકી છે.
રાકેશ ટિકૈતે જણાવ્યું કે, હાલ સંયુક્ત મોરચો વડાપ્રધાનની જાહેરાતને લઈ વાતચીત કરી રહ્યો છે, ટૂંક સમયમાં જ ભવિષ્યની રણનીતિ જાહેર કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ શુક્રવારે સવારે રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સંસદના સત્રમાં આ કાયદાઓને પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે.
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું હતું કે, "હું દેશવાસીઓની ક્ષમા માગીને સાચા મનથી કહેવા માગું છું કે, અમારા પ્રયત્નોમાં ઉણપ રહી હશે કે અમે તેમને સમજાવી ન શક્યા. આજે ગુરૂ નાનકજીનો પવિત્ર પ્રકાશ પર્વ છે. આજે હું તમને એ જણાવવા આવ્યો છું કે, અમે ત્રણેય કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય લીધો છે. આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. હું ખેડૂતોને વિનંતી કરૂં છું કે, પોતાના ઘરે પાછા જાય, પોતાના ખેતરોમાં પત જાય."