આપણી લડત કાશ્મીર માટે છે કાશ્મીરીઓ વિરુદ્ધ નહીં: PM મોદી
Updated: Feb 23rd, 2019
ટોંક, તા. 23 ફેબ્રુઆરી 2019 શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાજસ્થાન પ્રવાસ દરમિયાન ટોંક ગયા છે. ત્યાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી. આ દરમિયાન વડાપ્રધાને પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપતા પોતાના સંબોધનની શરૂઆત કરી અને કહ્યુ કે અમારી સેનાએ હુમલાના 100 કલાકની અંદર તેના દોષીઓને ઠાર માર્યા તેનો મને ગર્વ છે.
વડાપ્રધાને પોતાનું સંબોધન શરૂ કરતા કહ્યુ કે ટોંક અને સવાઈ માધોપુરની ધરતીથી સૌથી પહેલા હું પુલવામામાં બલિદાન આપનાર વીર શહીદોને નમન કરુ છુ. હું આ વીર સપૂતોને જન્મ આપનારી માતાઓ અને તેમના સમગ્ર પરિવારને કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી ફરીથી પોતાની સંવેદના વ્યક્ત કરુ છુ.
વડાપ્રધાને પુલવામા હુમલા બાદ કાશ્મીરીઓ પર થઈ રહેલા હુમલાની નિંદા કરી અને કહ્યુ કે અમારી લડત આતંકવાદ વિરુદ્ધ છે. માનવતાના દુશ્મનો વિરુદ્ધ છે. અમારી લડત કાશ્મીર માટે છે. કાશ્મીરીઓ વિરુદ્ધ નથી. આજે પ્રત્યેક હિન્દુસ્તાની દેશની સેનાની સાથે છે. દેશની ભાવનાઓની સાથે છે પરંતુ મને મુઠ્ઠીભર તે લોકો પર અફસોસ થાય છે, જે ભારતમાં રહેતા હોવા છતાં પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.