રાજસ્થાન: જોધપુરમાં લગ્ન દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ, 5 ના મોત
Updated: Dec 9th, 2022
જોધપુર, તા. 09 ડિસેમ્બર 2022, શુક્રવાર
રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેરગઢ નજીક ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાથી અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે 61 લોકો દાઝી ગયા છે. CM ગેહલોત આજે જોધપુર પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના જોધપુર જિલ્લાના શેરગઢ નજીક ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાથી આશરે 61 લોકો દાઝી ગયા હતા. તમામ ઘાયલોને જોધપુર લઈ જવામાં આવ્યા હતા. લગ્ન સમારોહમાં સિનિન્ડર ફાટવાથી આગ લાગી ગઈ હતી. તેથી અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર લોકો આગની લપેટમાં આવી ગયા હતા. તેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ સ્ટેશન ઓફિસર દેવેન્દ્ર સિંહના અનુસાર આ દુર્ઘટનામાં 61થી વધુ લોકો દાઝી ગયા છે. મળતી મહિતી મુજબ પોલીસે નજીકના ટેન્કરોથી આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ જોધપુર, બાલોતરાથી ફાયર બ્રિગેડ મોકલવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા અને SP અનિલ કયાલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જિલ્લા ક્લેક્ટરે આપેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં સુરેન્દ્દ સિંહ, વરરાજાના પિતા તગત સિંહ અને તેની માતા દાખુ કવર તથા બહેન રસાલ કુંવર સહિત 61 લોકો દાઝી ગયા છે.
જાન જવાની તૈયારી હતી
પોલીસના અનુસાર શેરગઢના ભૂંગરાના રહેવાસી તગત સિંહના પુત્રના ગુરૂવારના રોજ લગ્ન હતા. જાન રવાના થવાની હતી તેથી બધા ભેગા થયા હતા. આ દરમિયાન રસોઈયા પાસેના સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થઈ ગયો હતો. એક પછી એક 5 સિલિન્ડર ફાટ્યા હતા. તેથી આગ લાગી ગઈ હતી અને ભોજન કરી રહેલા લોકો આગની લપેટમાં આવી ગયા હતા. આગની લપેટમાં સગત સિંહ અને તેમનો વરરાજા પુત્ર પણ ફસાયા હતા. સિલિન્ડર ફાટવાથી ઘરની છત ફાટી ગઈ હતી. સ્થાનિકોની મદદથી આગ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું અને આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલોનો ઈલાજ ચાલું છે. CM અશોક ગેહલોતે જોધપુરના કલેક્ટર સાથે વાત કરીને જરૂરી નિર્દેશ આપ્યા છે.
CM ગેહલોતે કલેક્ટને આપ્યા નિર્દેશ
CM ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું હતું કે, જોધપુરમાં લગ્ન સમારંભમાં આગ લાગવાની ઘટનાને અનુલક્ષીને કલેક્ટર સાથે વાત કરીને નિર્દેશ આપ્યા છે. તમામ ઘાયલોનો યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવામાં આવશે. હું તમામ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી ઈચ્છા રાખું છું. CM ગેહલોતે જોધપુરના કલેક્ટરને કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવાની સૂચના આપી છે.