રાજા રઘુવંશી મર્ડર કેસમાં મોટો ખુલાસો, પતિની હત્યા બાદ ઇન્દોર આવી હતી સોનમ, પ્રેમી સાથે ભાડાના રૂમમાં રોકાઈ હતી
Raja Raghuvanshi Murder Case: ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં સતત નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. મેઘાલય અને ઇન્દોરની પોલીસ આ હત્યાના રહસ્યને ઉકેલવા માટે સાથે મળીને કામ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, હત્યા બાદ સોનમ રઘુવંશી 25 મે 2025 ના રોજ ઇન્દોર આવી હતી. અહીં તે તેના પ્રેમી રાજ કુશવાહ સાથે ભાડાના રૂમમાં રોકાઈ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે રાજા રઘુવંશીની હત્યાનો પ્લાન તેમના લગ્ન પછી તરત જ ઘડવામાં આવ્યો હતો અને આ પ્લાન બીજા કોઈએ નહીં પણ તેમની પત્ની સોનમ અને રાજ કુશવાહાએ જ ઘડ્યો હતો. ષડયંત્રના ભાગ રૂપે આ કપલ શિલોંગ પહોંચ્યું હતું.
આ પણ વાંચો: લવ અફેર, લગ્ન અને મર્ડર... રાજા રઘુવંશી મર્ડર કેસમાં અત્યાર સુધીના 10 ચોંકાવનારા ખુલાસા
હત્યા બાદ ઇન્દોરમાં રાજા પાસે ગઈ હતી સોનમ
મેઘાલય પોલીસના જણાવ્યા પ્રમાણે યોજના મુજબ ત્રણ આરોપીઓએ રાજાને પકડ્યો અને પછી વિક્કી નામના આરોપીએ તેના પર તીક્ષ્ણ અને ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. રાજાની હત્યા કર્યા પછી બધા આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા, પરંતુ આ બધું સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. એ પછી સોનમ ઇન્દોર પહોંચી હતી, જ્યાં તેણે રાજ કુશવાહનો સંપર્ક કર્યો હતો અને તે પછી સોનમ ઉત્તર પ્રદેશ પહોંચી ગઈ હતી.
આરોપી આકાશના જેકેટ પર જોવા મળ્યા લોહીના ડાઘ
સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે સોનમે હનીમૂનનો કોઈ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો ન હતો, જેનાથી કોઈ પર શંકા થઈ શકે છે, પરંતુ ગુનાના સ્થળેથી મળેલા હત્યારા આકાશના જેકેટથી તપાસ સરળ બની. આ જેકેટ સોનમે આકાશને આપ્યું હતું, જેના પર લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા. આરોપી વિશાલે પહેલા રાજા પર હુમલો કર્યો હતો. આ પછી અન્ય આરોપીઓએ હુમલો કર્યો.
આ પણ વાંચો: સોનમ પતિને 10 લાખની જ્વેલરી સાથે હનીમૂન પર લઇ ગઇ જ્યાં હત્યા કરાવી
ગુહાટીમાં હત્યા માટે વપરાયેલ હથિયાર મળ્યું
પોલીસનું કહેવું છે કે, હત્યામાં વપરાયેલ હથિયાર ગુહાટી પોલીસ સ્ટેશન નજીકથી પણ મળી આવ્યું છે. આરોપી રાજ કુશવાહાની માતાએ કહ્યું કે, તેનો પુત્ર નિર્દોષ છે. તે ક્યારેય આવું કામ કરી શકે નહીં. રાજ કુશવાહાની બહેને પણ એ હકીકતને સંપૂર્ણપણે નકારી કાઢી હતી કે, તે સોનમ સાથે સંબંધમાં હતો.