સોનમ પતિને 10 લાખની જ્વેલરી સાથે હનીમૂન પર લઇ ગઇ જ્યાં હત્યા કરાવી
- ઇંદોરના રાજા રઘુવંશીની હત્યાનું રાજ ખુલ્યું, ગુમ પત્નીનું સરેન્ડર
- પ્રેમી સાથે મળી લગ્નના 10 દિવસ બાદ જ પતિનો ભોગ લીધો, સોનમ સહિત પાંચ આરોપીઓની ધરપકડ
ઇંદોર : મધ્ય પ્રદેશના ઇંદોરનું એક યુગલ લગ્નના થોડા દિવસ બાદ હનીમૂન માટે મેઘાલય ગયું હતું, જ્યાં પતિનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે પત્ની ગૂમ હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં નવો વળાંક આવ્યો છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી હોવાની શક્યતા છે. ઘટનાના ૧૫ દિવસ બાદ પત્નીએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું, જ્યારે અન્ય ચાર આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઇંદોરના સોનમ અને રાજા રઘુવંશી વચ્ચે ૧૧મી મેના રોજ ઇંદોરમાં લગ્ન થયા હતા, લગ્નના ૧૦ દિવસ બાદ ૨૦મી મેના રોજ બન્ને હનીમૂન માટે મેઘાલય રવાના થયા હતા. બન્ને ૨૧મી મેના રોજ શિલોંગ પહોંચ્યા હતા, શિલોંગથી બીજા દિવસે બન્ને એક્ટિવા લઇને માવલખિયાત પહોંચ્યા હતા.
જ્યાં ખીણમાં રૂટબ્રિજ જોવા માટે નીચે ત્રણ હજાર ફૂટ પહોંચ્યા હતા. બાદમાં બન્નેનો સંપર્ક પરિવાર સાથે તુટી ગયો હતો, બીજા દિવસે પતિ રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે પત્ની સોનમ ગૂમ હતી. મૃતદેહ શોધવા માટે પોલીસે ડ્રોનની મદદ લીધી હતી.
પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા સાથે જ એક સ્થાનિક ગાઇડનો પણ સંપર્ક કર્યો હતો, સોનમની પોલીસે શોધખોળ શરૂ કરી હતી પરંતુ તે ૯ જૂનના રોજ મેઘાલયથી ૧૨૦૦ કિમી દૂર ઉત્તર પ્રદેશમાં ગાઝિપુરમાં રાજાની પત્ની સોનમે સરેન્ડર કરી દીધુ હતું. દરમિયાન પોલીસે અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી જેમના નામ રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ, આકાશ રાજપુત આનંદ કુરમી છે. રાજ કુશવાહા અને સોનમ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શક્યતા છે.
રાજાના પરિવારે જણાવ્યું હતું કે સોનમે હનીમૂનની ટિકિટ બૂક કરી હતી પરંતુ પોતાની રિટર્ન ટિકિટ બૂક નહોતી કરી, સાથે જ રાજાને ૧૦ લાખ રૂપિયાના જવેરાત પહેરવા કહ્યું હતું. હત્યા બાદ આ તમામ જ્વેલરી લઇને સોનમ, તેનો પ્રેમી અને અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા હતા.