Rahul Gandhi Defamation Case : વીર સાવરકર અંગે અપમાનજનક ટીકા કરવાના કેસમાં પૂણેની કોર્ટમાં હાજર થયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજીને લઈને સુપ્રિયા શ્રીનેતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શ્રીનેતે કહ્યું છે કે, રાહુલ ગાંધીના વકીલે પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી છે. તેમના વકીલે પણ કહ્યું છે કે, તેમણે તેમને પૂછ્યા વગર કોર્ટમાં અરજી કરી છે અને હવે કોર્ટમાં અરજી પરત લેવામાં આવશે. અરજીમાં કહેવાયું હતું કે, રાહુલ ગાંધીના જીવ પર ખતરો છે. તેમાં બે નેતાઓના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો.
રાહુલ ગાંધીના વકીલની અરજીમાં શું લખ્યું હતું?
રાહુલ ગાંધી વતી હાજર થયેલા વકીલ મિલિંદ દત્તાત્રય પવારે કોર્ટમાં લેખિત અરજી આપીને કહ્યું હતું કે, ‘ફરિયાદી નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના વંશજ છે અમને તેમનો ઇતિહાસ હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. વર્તમાન રાજકીય સ્થિતિ અને કેટલાક નેતાઓના વિવાદસ્પદ નિવેદનોના કારણે રાહુલ ગાંધીના જીવ પર ગંભીર ખતરો છે.’
અરજીમાં બે નેતાના નામનો ઉલ્લેખ કરાયો હતો
અરજીમાં નાથુરામ ગોડસે અને ગોપાલ ગોડસેના નામો પણ ઉલ્લેખ કરાયો હતો. તેમાં કહેવાયું હતું કે, ‘બંનેના ઇતિહાસ હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. વર્તમાન રાજકીય સ્થિતિ અને કેટલાક નેતાઓના વિવાદસ્પદ નિવેદનોના કારણે રાહુલ ગાંધીના જીવ પર ગંભીર ખતરો છે. રવનીતે રાહુલને દેશનો નંબર એક આતંકવાદી કહ્યો હતો, જ્યારે મારવાહે ધમકી આપી કહ્યું હતું કે, રાહુલના હાલ તેમની દાદી જેવા થશે.’ આ કારણે વકીલે રાહુલ ગાંધીને વધુ સુરક્ષા આપવાની કોર્ટને માંગ કરી હતી. કોર્ટે રાહુલના વકીલની અરજીને પણ ધ્યાને લીધી હતી.
આ પણ વાંચો : ‘બે નેતાએ મને જાનથી મારવાની ધમકી આપી, મને વધુ સુરક્ષા આપો’ રાહુલ ગાંધીની કોર્ટમાં અરજી
રાહુલના વકીલે પૂછ્યા વગર અરજી કરી : સુપ્રિયા શ્રીનેત
રાહુલ ગાંધીના વકીલે કરેલી અરજી મામલે સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે, ‘રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં એક લેખિત અરજી કરી હતી, જેમાં રાહુલની સંમતિ વિના તેમના જીવને જોખમ હોવાનું જણાવાયું હતું. રાહુલ ગાંધી આ અરજી સાથે સખત અસંમત છે. વકીલ કાલે કોર્ટમાંથી આ લેખિત નિવેદન પાછું ખેંચશે.’ એટલે કે રાહુલ ગાંધીના વકીલે પૂછ્યા વગર જ કોર્ટમાં અરજી કરી નાખી હતી, જેના કારણે શ્રીનેતે સત્તાવાર નિવેદન આપવું પડ્યું છે.
સાવરકરના પૌત્રએ નોંધાવી હતી ફરિયાદ
વી. ડી. સાવરકરના પૌત્ર સત્યાકી સાવરકરે રાહુલ ગાંધી વિરુદ્ધ પૂણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં દાવો કર્યો છે કે, રાહુલ ગાંધીએ લંડનમાં એક ભાષણ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર અંગે વાંધાજનક ભાષણ આપ્યું હતું, તેમાં તેમણે કહ્યું હતું કે, સાવરકરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, તેમણે અને તેમના મિત્રોએ એક મુસ્લિમ વ્યક્તિની ધોલાઈ કરી, ત્યારે તેમને ખુશી થઈ હતી. સત્યાકીએ રાહુલના નિવેદનને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે, સાવરકરની રચનાઓમાં આવી કોઈપણ પ્રકારની ઘટનાનો ઉલ્લેખ થયો નથી.


