'પાંચ ફાઈટર વિમાનોનું સત્ય શું છે? દેશને જાણવાનો હક છે', રાહુલ ગાંધીએ ટ્રમ્પના દાવાઓ પર સરકાર પાસે માગ્યો જવાબ
Rahul Gandhi on Donald Trump claims: ભારતે 22 એપ્રિલે ઓપરેશન સિંદૂર હેઠળ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલી આતંકવાદી હુમલાનો બદલો લેવા પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરીને લીધો. બંને દેશો વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું.
તાજેતરમાં ટ્રમ્પે શું દાવો કર્યો?
એ પછી ટ્રમ્પે ઘણી વખત પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો કે અમેરિકાના કારણે પાકિસ્તાન અને ભારત વચ્ચે સીઝફાયર થયુ હતું. ટ્રમ્પે હવે શુક્રવારે કહ્યું છે કે, આ યુદ્ધ દરમિયાન પાંચ ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, ટ્રમ્પે સ્પષ્ટતા કરી નથી કે કયા દેશના ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યા હતા.
'મોદીજી, 5 વિમાનો પાછળનું સત્ય શું છે?'
કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રશ્ન પૂછતા પોસ્ટમાં લખ્યું કે, 'મોદીજી, 5 વિમાનો પાછળનું સત્ય શું છે? દેશને જાણવાનો અધિકાર છે!'
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને પણ ઘણી વખત દાવો કર્યો છે કે તેણે આ યુદ્ધ દરમિયાન ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. જોકે, ભારતે હંમેશા આ દાવાઓને નકારી કાઢ્યા છે.
ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો
ભારતીય જનતા પાર્ટીના આઈટી સેલના રાષ્ટ્રીય સંયોજક અમિત માલવિયાએ વડાપ્રધાન મોદી દ્વારા લડાકુ વિમાનને થયેલા નુકસાનના પ્રશ્ન પર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે.
આ પણ વાંચો: બે સગા ભાઈઓએ એક જ યુવતી સાથે કર્યા લગ્ન, હિમાચલ પ્રદેશની પરંપરાની દેશભરમાં ચર્ચા
'શું તે ભારતીય છે કે પાકિસ્તાનનો પ્રવક્તા?': અમિત માલવિયા
માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, 'રાહુલ ગાંધીની માનસિકતા દેશદ્રોહી જેવી છે. ટ્રમ્પે તેમના નિવેદનમાં ન તો ભારતનું નામ લીધું, ન તો તેમણે એમ કહ્યું છે કે, તે પાંચ વિમાનો ભારતના છે. તો પછી કોંગ્રેસના રાજકુમારે તેમને ભારતનો કેમ માની લીધા? પાકિસ્તાનના કેમ ન માન્યા? શું તેમને પોતાના દેશ કરતાં પાકિસ્તાન પ્રત્યે વધારે હમદર્દી છે? સત્ય એ છે કે પાકિસ્તાન હજુ ઓપરેશન સિંદૂરમાંથી બહાર આવ્યું નથી... પરંતુ દુખ રાહુલ ગાંધીને થઈ રહ્યું છે! જ્યારે પણ દેશની સેના દુશ્મનને પાઠ ભણાવે છે, ત્યારે કોંગ્રેસને મરચાં લાગે છે. ભારત વિરોધી હવે કોંગ્રેસની આદત નથી રહી, પરંતુ તેની ઓળખ બની ગઈ છે. રાહુલ ગાંધીએ કહેવું જોઈએ, શું તે ભારતીય છે કે પાકિસ્તાનનો પ્રવક્તા?'