કોરોના દરમિયાન 300 મૃતદેહો ગંગા નદીમાં વહાવાયાનો દાવોઃ રાહુલ ગાંધીએ સરકાર પર ફરી કર્યા પ્રહારો
Updated: Dec 24th, 2021
નવી દિલ્હી, તા. 24. ડિસેમ્બર 2021 શુક્રવાર
રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના મહાનિર્દેશક તેમજ નમામિ ગંગે મિશનના પ્રમુખ રાજીવ રંજન મિશ્રા તથા અધિકારી પુસ્કલ ઉપાધ્યાયે ગંગા પર એક પુસ્તક લખ્યુ છે.
આ બૂકનુ લોન્ચિંગ ગઈકાલે કરવામાં આવ્યુ હતુ.જેને લઈને એક અંગ્રજી અખબારે દાવો કર્યો છે કે, પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન ગંગા નદીમાં 300 થી વધારે મૃતદેહોને ફેંકવામાં આવ્યા હતા.જેમ જેમ કોરોનાથી મોતની સંખ્યા વધતી ગઈ તેમ તેમ અંતિમ સંસ્કાર કરવા માટેની જગ્યાઓનો દાયરો પણ વધતો ગયો હતો.આ દરમિયાન ગંગા નદીમાં 300 જેટલા મૃતદેહો ફેંકવામાં આવ્યા હતા.
હવે આ અહેવાલને લઈને રાહુલ ગાંધીએ ફરી સરકાર પર પ્રહારો કર્યા છે.તેમણે કહ્યુ હતુ કે, ગંગાની લહેરોમાં કોરોનાના મૃતકોના દર્દનુ સત્ય વહી રહ્યુ છે અને તેને છુપાવવુ શક્ય નથી.પીડિત પરિવારોને વળતર આપવામાં આવે તે તેમને મળનારા ન્યાય તરફનુ પહેલુ ડગલુ હશે.
આ પહેલા પણ વિરોધ પક્ષો આરોપ મુકી ચુકયા છે કે, યુપી સરકાર કોરોનાથી થતા મોતના આંકડા છુપાવવા માટે મૃતદેહોને ગંગા નદીમાં વહાવી રહી છે.