પુલવામા હુમલો: અકાલી દળે નવજોત સિંહ સિદ્ધુને હટાવવાની માગ કરી
Updated: Feb 18th, 2019
નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2019 સોમવાર
વિપક્ષી શિરોમણિ અકાલી દળે સોમવારે પુલવામા હુમલા બાદ આપેલા નિવેદનોના કારણે પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુને હટાવવાની માગ કરી છે. અકાલી નેતા વિક્રમ સિંહ મજીઠિયા અને સિદ્ધુની વચ્ચે આ મુદ્દે બોલચાલ પણ થઈ.
પંજાબ વિધાનસભા બજેટ સત્રની શરૂઆત પહેલા મજીઠિયાના નેતૃત્વમાં અકાલી દળના નેતાઓએ તે તસવીરોને સળગાવી જેમાં સિદ્ધુ પાકિસ્તાન સેના પ્રમુખને ગળે મળતા નજર આવી રહ્યા હતા. સિદ્ધુ ગત વર્ષ 18 ઓગસ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા પાકિસ્તાન ગયા હતા.
સદનની બહાર મજીઠિયાએ પત્રકારોને કહ્યુ, કોઈપણ વસ્તુથી પહેલા અમે કોંગ્રેસ અને પંજાબ સરકારનું સ્પષ્ટ વલણ જાણવા ઈચ્છીએ છીએ. શું તે પાકિસ્તાની સેનાના પ્રમુખ અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની નિંદા કરે છે? મજીઠિયાએ કહ્યુ કે પુલવામા આતંકી હુમલાની નિંદા માટે સદનમાં સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કર્યા બાદ પણ સિદ્ધુ કહી રહ્યા છે. તમે પાકિસ્તાનને દોષી ઠેરવી શકો નહીં. તમે કોઈ એક વ્યક્તિને દોષી ઠેરવી શકો નહીં.