હિંસા બાદ PM મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ: 13 સપ્ટેમ્બરે વિસ્થાપિત લોકોની વ્યથા સાંભળશે
હિંસા બાદ વડાપ્રધાનનો પ્રથમ મણિપુર પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13મી સપ્ટેમ્બરે બપોરે 12.15 વાગ્યે મિઝોરમના પાટનગર આઇઝોલથી મણિપુરના ચુરાચાંદપુર પહોંચશે. અહીં તેઓ વિસ્થાપિત લોકો સાથે વાતચીત કરશે અને ઇન્ફ્રા પ્રોજેક્ટનું શિલાન્યાસ પણ કરશે. નોંધનીય છે કે માર્ચ 2023થી મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ભયાનક હિંસા ભડકી, જેમાં અનેક લોકોના મોત પણ થયા હતા. આ હિંસા બાદથી આ વડાપ્રધાન મોદીનો પ્રથમ મણિપુર પ્રવાસ હશે.
મણિપુરમાં વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી ચુરાચાંદપુરના પીસ ગ્રાઉન્ડથી 7300 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાની આધારશિલા મૂકશે, જ્યાં કુકી બહુસંખ્યક રહે છે. વડાપ્રધાન મોદી મેઇતૈ વસ્તી ધરાવતા ઇમ્ફાલથી 1200 કરોડ રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.
મણિપુરમાં મોદીના આ કાર્યક્રમના હોર્ડિંગ પણ લગાવવામાં આવ્યા છે. આ હોર્ડિંગ ઇમ્ફાલથી એક પ્રમુખ સ્થાન, કેશમપટ જંક્શન પર લગાવવામાં આવ્યું છે, જે ભાજપ મુખ્યાલયની નજીક છે. રાજ્યમાં આવા બીજા પણ હોર્ડિંગ લગાવવામાં આવે તેવી આશંકા છે. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહના રાજીનામા બાદ ફેબ્રુઆરીથી અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે.
આ પણ વાંચોઃ 350 વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુ બનીને આવેલી મહિલા ચાંદીની પાદુકા ચોરી રફૂચક્કર
વહીવટીતંત્રએ જાહેર કરી એડવાઇઝરી
નોંધનીય છે કે, આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જે મુજબ, 13 સપ્ટેમ્બરે પીસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત VVIP કાર્યક્રમમાં હાજરી આપનારા લોકોને ચાવી, પેન, પાણીની બોટલ, બેગ, રૂમાલ, છત્રી, લાઇટર, મેચબોક્સ, કાપડના ટુકડા, કોઈપણ તીક્ષ્ણ વસ્તુઓ અથવા શસ્ત્રો અને દારૂગોળો ન લાવવા માટેની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જોકે, આ એડવાઇઝરીમાં વડાપ્રધાનના નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો તેમજ જનતાને સલાહ આપવામાં આવી છે કે, 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને બીમાર વ્યક્તિઓને કાર્યક્રમ સ્થળ પર લાવવાનું ટાળવું.
રાજ્યમાં સુરક્ષા વ્યસ્થામાં વધારો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીના પ્રવાસ પહેલા ઇમ્ફાલ અને ચુરાચાંદપુર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓની એક ટીમ પણ ચુરાચાંદપુર પહોંચી ગઈ છે. પોલીસ અને અર્ધ લશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે અને પીસ ગ્રાઉન્ડ તરફના રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યા છે.