શું યુક્રેન મુદ્દે મતભેદોને લીધે ભારત-રશિયા વચ્ચેની મોટી બેઠક ટળી? વિદેશ સચિવે કર્યો મોટો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Russia News | ભારતે યુક્રેન મુદ્દે રશિયા સાથે મતભેદોના દાવાઓને "તથ્યાત્મક રીતે ખોટા" ગણાવીને નકારી કાઢ્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મતભેદોને કારણે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે રશિયાની મુલાકાત દરમિયાન એક મોટી પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક રદ કરવામાં આવી હતી.
વિદેશ સચિવે કર્યો ખુલાસો
મીડિયા સાથે વાત કરતા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ મોસ્કોમાં કેટલાક મતભેદો અંગેના સવાલોના જવાબમાં કહ્યું કે , "જ્યાં સુધી મને ખબર છે, વડાપ્રધાનની મોસ્કો મુલાકાત દરમિયાન કોઈ વિશેષ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી."
અહેવાલોમાં કોઈ સત્ય નથીઃ વિદેશ સચિવ
વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે મતભેદને કારણે કાર્યક્રમ રદ્દ થયાનો દાવો મને ખરેખર આશ્ચર્યજનક લાગે છે, પરંતુ આ હકીકતમાં ખોટો, તદ્દન ભ્રામક અહેવાલ છે જેમાં કોઈ સત્ય નથી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, "હકીકતમાં વડાપ્રધાનની રશિયાની મુલાકાત સફળ રહી છે. સત્ય એ છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની ચર્ચા બંને પક્ષો દ્વારા ફાળવવામાં આવેલા સમય કરતાં વધુ ચાલી.
મતભેદોના દાવા પર રશિયાએ શું કહ્યું?
અગાઉ રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને ટાંકીને રશિયન સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિને મંગળવારે મોસ્કોમાં યોજાયેલી તેમની બેઠકમાં તમામ વિષયો પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા, જેમાં કોઈ મોટા બ્રેકઆઉટ સત્રની જરૂર નહોતી, તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે પીએમ મોદી અને પુતિન વચ્ચે વિશાળ પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક શા માટે યોજાઈ નથી, તો રશિયન અધિકારીએ કહ્યું કે એવું નથી કે તેની પાછળ કોઈ સમસ્યા છે, પરંતુ બંને નેતાઓ વચ્ચે ત્રણ કલાકથી વધુની વાતચીત થઈ હતી, જેમાં બંને પક્ષોના ઈન્ચાર્જ અધિકારીઓએ ભાગ લીધો હતો.




