India

સેશેલ્સની સંસદમાં PM મોદીએ કર્યો સમોસાં, ચટણી અને ગરબાનો ઉલ્લેખ! ભારતની મિત્રતાનો આપ્યો ભરોસો

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સની 3 દિવસીય મુલાકાત દરમિયાન નેશનલ એસેમ્બલીને સંબોધી હતી. તેમણે ભારત અને સેશેલ્સના સદીઓ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને યાદ કર્યા. પીએમ મોદીએ જણાવ્યું કે, બંને દેશોના સંબંધો માત્ર રાજદ્વારી નથી, પરંતુ સમાન વારસો અને પરંપરા પર આધારિત છે. સેશેલ્સમાં ભારતીય મૂળના 5,000 લોકો ત્યાંના આર્થિક અને સામાજિક જીવનમાં મોટું યોગદાન આપી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સેશેલ્સની સંસદમાં PM મોદીએ કર્યો સમોસાં, ચટણી અને ગરબાનો ઉલ્લેખ! ભારતની મિત્રતાનો આપ્યો ભરોસો

PM Modi Seychelles Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સની 3 દિવસીય મુલાકાત દરમિયાન ત્યાંની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. તેમણે ભારત અને સેશેલ્સ વચ્ચેના સદીઓ જૂના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને યાદ કરીને આ જોડાણને વધુ મજબૂત બનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે બંને દેશોના સંબંધો માત્ર રાજદ્વારી નથી, પરંતુ તે એક સમાન વારસો અને પરંપરા પર આધારિત છે.

સમરૂપ સંસ્કૃતિ અને ઓળખ
વડાપ્રધાને જણાવ્યું હતું કે સેશેલ્સની સૌથી મોટી તાકાત ત્યાંના લોકો છે. વર્ષોથી દુનિયાના અલગ-અલગ ભાગોમાંથી આવીને વસેલા લોકો પોતાની ભાષા, પરંપરા અને સંસ્કૃતિ સાથે લાવ્યા છે. આ વિવિધતાએ મળીને સેશેલ્સની એક એવી સમાન ઓળખ બનાવી છે, જેના પર ત્યાંના લોકોને ગર્વ છે.

ચટણી, સમોસા અને તહેવારોથી ગાઢ બનતી મિત્રતા
નેશનલ એસેમ્બલીના આદર્શ વાક્ય ‘વિવિધતામાં એકતા’નો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે બંને દેશોના સાંસ્કૃતિક સંબંધો રોજિંદા જીવનમાં પણ દેખાય છે. કરી કોકો, સમોસા અને ચટણીના સ્વાદથી લઈને દીપાવલી, થાઈ પોંગલ અને નવરાત્રિના ગરબા જેવા આયોજનોમાં બંને દેશોનો સમાન વારસો જોવા મળે છે.

50 વર્ષના રાજદ્વારી સંબંધો અને 250 વર્ષ જૂનું અપનાપણું
ભારત અને સેશેલ્સ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જો કે, બંને દેશોના લોકો વચ્ચેનો સંબંધ 250 વર્ષથી પણ વધુ જૂનો છે. પીએમ મોદીએ વિશ્વાસ અપાવ્યો હતો કે ભારત હંમેશા સેશેલ્સનો ભરોસાપાત્ર ભાગીદાર રહેશે અને તેની વિકાસયાત્રામાં ખભેથી ખભો મિલાવીને સાથે ઊભો રહેશે.

સેશેલ્સમાં ભારતીય સમુદાયની ભૂમિકા
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને સેશેલ્સના સંબંધોની શરૂઆત વર્ષ 1770 માં થઈ હતી, જ્યારે 5 ભારતીયો પ્રથમ વખત આ દ્વીપ સમૂહવાળા દેશમાં પહોંચ્યા હતા. હાલમાં સેશેલ્સની કુલ વસ્તી આશરે 1.20 લાખ છે, જેમાં લગભગ 5,000 લોકો ભારતીય મૂળના વસે છે, જેઓ ત્યાંના આર્થિક અને સામાજિક જીવનમાં મોટું યોગદાન આપી રહ્યા છે.