‘કોંગ્રેસે SC-STને મળેલો અનામતનો અધિકાર મુસ્લિમોને આપવાનો પ્રયાસ કર્યો’, વડાપ્રધાનનો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર
Updated: Apr 23rd, 2024
Lok Sabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજે રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠક પર ચૂંટણી સભા ગજવી હતી. આજે હનુમાન જયંતી (Hanuman Jayanti) પર્વે તેમને ગદાની પણ ભેટ આપવામાં આવી હતી. તેમણે બજરંબ બલીની જયના નાદ સાથે ભાષણની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આકરા પ્રહારો કરવા ઉપરાંત કર્ણાટકનો પણ કિસ્સો સંભળાવ્યો હતો.
‘કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી ગુનો બની ગયો’
વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યો કે, ‘કોંગ્રેસની સરકારમાં હનુમાન ચાલીસા સાંભળી રહેલા વેપારીઓને મારમારીને લોહીલુહાણ કરી દેવામાં આવે છે. તેમના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવી ગુનો બની ગયો છે. હું તમારા બધાનો આભારી છું કે, આપ લોકોએ મને ગદા આપી બજરંગ બલીની જય બોલવાનો અવસર પુરો પાડ્યો. મને શૂરવીરોની ધરતી સવાઈ માધોપુર આવવાની તક મળી.’
‘કોંગ્રેસે ST/SCનો અધિકાર મુસ્લિમને આપવાનો પ્રયાસ કર્યો’
તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે વર્ષ 2011માં ST/SCને મળેલો અધિકાર છીનવી મુસ્લિમને આપવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસે બંધારણની ક્યારેય ચિંતા કરી નથી, બાબા સાહેબ આંબેડકરની ક્યારેય ચિંતા કરી નથી. જ્યારે કર્ણાટકમાં ભાજપની સરકાર બની હતી ત્યારે અમે આવતાની સાથે જ ધાર્મિક આધારે આરક્ષણ ખતમ કરવાનું પ્રથમ કામ કર્યું હતું. કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન સત્તામાં હતા, ત્યારે તેઓ દલિતો અને પછાતોના અનામતમાં માથુ મારતા હતા અને મતોના રાજકારણ માટે પોતાની ખાસ જમાતને અનામત આપવા ઈચ્છતા હતા. જોકે બંધારણ આ બાબતની વિરુદ્ધમાં છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે, કોંગ્રેસ એવી જાહેરાત કરશે કે, આ બંધારણમાં દલિતો અને પછાતનું અનામત ઘટાડી તેને મુસલમાનોમાં નહીં વેંચે.’
‘કોંગ્રેસે મુસલમાનો માટે ચાર વખત અનામત લાગુ કરવાનો પ્રયાસ કર્યો’
તેમણે વધુમાં કહ્યું કે, ‘દેશમાં ધાર્મિક આધાર પર અનામત આપવાનો વિરોધ થયો હતો. કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, દેશના સંશાધનો પર પ્રથમ હક મુસલમાનોનો છે. 2004માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની તો તેઓએ આંધ્રપ્રદેશમાં એસસી-એસટી રિઝર્વેશન ઘટાડ્યું અને મુસલમાનોને અનામત આપવાનો પ્રયાસ કર્યો. 2004થી 2010 વચ્ચે કોંગ્રેસે આંધ્રપ્રદેશમાં ચાર વખત મુસ્લિમો માટે અનામત (Muslim Reservation) લાગુ કરવાનો પ્રયાસ કર્યો. જોકે સુપ્રીમ કોર્ટની સક્રિયતાના કારણે તેઓ લાગુ ન કરી શક્યા. હું દેશને કહ્યું છું કે, કોંગ્રેસે તમારી સંપત્તિ છીનવી તેમના ખાસ લોકોને વેંચવાનું ષડયંત્ર રચી રહ્યી છે. મેં કોંગ્રેસની આ તૃષ્ટિકરણના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.’
PM મોદીએ રાહુલ ગાંધી પર સાધ્યું આડકતરું નિશાન
તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, ‘કોંગ્રેસના એક નેતાએ જાહેરમાં કહ્યું કે, એક્સરે કરીને લોકોની સંપત્તિ વિશે માહિતી મેળવીશું. જેની સંપત્તિ વધારે હશે, તે લોકોમાં વેંચી દઈશું. શું આ તમને મંજૂર છે? શું મંગળ સૂત્ર પર હાથ લગાવી શકાય છે? પંજાની આ જ તાકાત છે... રાજસ્થાનમાં એક પણ પંજો બચવો ન જોઈએ. જો કોંગ્રેસ હોત તો તે દેશમાં ભ્રષ્ટાચારની તકો શોધતી... રાજસ્થાન થોડા સમય પહેલા જ કોંગ્રેસના પંજામાંથી મુક્ત થયું છે. કોંગ્રેસે મહિલાઓ પર અત્યાચાર મામલે રાજસ્થાનને નંબર વન બનાવી દીધું છે. દુર્ભાગ્યની વાત એ છે કે, કોંગ્રેસના લોકો વિધાનસભામાં કહેતા હતા કે, આ જ તો રાજસ્થાનની ઓળખ છે.’