BIG NEWS: PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત, ઈરાન અને હોર્મુઝ મુદ્દે ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US President Trump spoke to PM Modi: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે(14 એપ્રિલ) ટેલિફોનિક વાતચીત થઈ છે. આશરે 40 મિનિટ સુધી ચાલેલી આ લાંબી ચર્ચામાં બંને નેતાઓ વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય સંબંધો પર ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પે હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કરવાનું એલાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સાથે થયેલી વાતચીતની માહિતી આપતા કહ્યું કે, આ વાતચીત દરમિયાન દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરાઈ. આ સિવાય બંને વચ્ચે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા થઈ. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર ભાર અપાયો. વડાપ્રધાન મોદીએ ફોન કોલ દરમિયાન ટ્રમ્પને કહ્યું કે, 'ભારતના લોકો તમને પ્રેમ કરે છે.'
હોર્મુઝ ખુલ્લો રાખવા મુદ્દે થઈ વાતચીત: PM મોદી
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'મારા મિત્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો. અમે અલગ અલગ વિસ્તારોમાં પોતાના દ્વિપક્ષીય સહયોગમાં થયેલી મહત્ત્વપૂર્ણ પ્રગતિની સમીક્ષા કરી. અમે તમામ ક્ષેત્રોમાં પોતાની વ્યાપક વૈશ્વિક વ્યૂહનીતિક ભાગીદારીને વધુ સુદૃઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ પર પણ ચર્ચા કરી અને હોર્મુઝને ખુલ્લો અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર પણ ભાર આપ્યો.'
ભારતના લોકો તમને પ્રેમ કરે છે: PM મોદી
પાકિસ્તાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાટાઘાટો નિષ્ફળ થયા બાદ આ વાતચીતને ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકન રાજદૂત સર્જિયો ગોરે મંગળવારે આ અંગે માહિતી આપી છે કે, આ વર્ષ ત્રીજી વખત વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત થઈ છે. ત્યારે, મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થયા બાદ બીજી વખત બંને વચ્ચે વાતચીત થઈ છે. સર્જિયો ગોરે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને કહ્યું છે કે, 'ભારતના લોકો તમને પ્રેમ કરે છે.'
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાતચીત દરમિયાન ખાસ કરીને મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ જાળવી રાખવા અને પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.








