સંસદનું ચોમાસુ સત્રમાં આવતીકાલથી ઘમસાણ, જાણો વિપક્ષ કયા કયા મુદ્દે સરકારને ઘેરવા તૈયાર
Monsoon Session: ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવામાં આવી હતી. જેમાં સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ આજે રવિવાર (20 જુલાઈ) કહ્યું કે, 'સરકાર આવતીકાલે સોમવારથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં ઓપરેશન સિંદૂર સહિત તમામ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાશે.' રિજિજૂએ તમામ પક્ષને અપીલ કરી હતી કે, સંસદની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા માટે સરકાર અને વિપક્ષ વચ્ચે ઘમસાણ જોવા મળશે. ચાલો જાણીએ વિપક્ષ કયા-કયા મુદ્દે સરકારને ઘેરવા તૈયાર છે.
સંસદનું ચોમાસુ સત્રમાં આવતીકાલથી ઘમસાણ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાના અને યુદ્ધવિરામના નિવેદનને લઈને વિપક્ષ સરકારને ઘેરવા માટે તૈયારીમાં છે. જેને લઈને પ્રતિક્રિયા આપતાં રિજિજૂએ કહ્યું હતું કે, 'સરકાર આ મુદ્દા પર યોગ્ય જવાબ આપશે.'
રિજિજૂએ જાણકારી આપી હતી કે, 'ન્યાયમૂર્તિ વર્માને હટાવવા માટે લાવવામાં આવી રહેલા મહાભિયોગ પ્રસ્તાવને સાંસદોનું સારુ સમર્થન મળી રહ્યું છે. આ પ્રસ્તાવ પર 100થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે.'
સંસદમાં વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર
સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષ અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ જણાવ્યા હતા, આ મુદ્દાને વિપક્ષ સંસદમાં જોરશોરથી ઉઠાવશે. જેમાં બિહારમાં મતદાર યાદીની વિશેષ સુધારણા (SIR)માં ભૂલનો આરોપ, પહલગામ હુમલો અને ટ્રમ્પનો વિવાદિત દાવો વગેરે મામલે સરકારને ઘેરવા તૈયાર છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે, 'તેમની પાર્ટી ત્રણ મુખ્ય માગ લઈને સંસદમાં પહોંચશે.' જેમાં નીચે પ્રમાણેના કેટલાક મુદ્દાને લઈને સવાલો કરાશે:
- ટ્રમ્પના દાવા પર વડાપ્રધાન મોદીએ સંસદમાં નિવેદન આપે.
- પહલગામ આતંકવાદી હુમલામાં સુરક્ષામાં થયેલી ખામી અંગે સરકારે જવાબ આપે.
- બિહારમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની તપાસ થાય.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી અગાઉ જેડીયુએ ભાજપનું ટેન્શન વધાર્યું, સીએમ પદ માટે નીતિશ કુમાર જ ફાઈનલ!
જ્યારે આમ આદમી પાર્ટીએ 'ચૂંટણી કૌભાંડ'નો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં આપ સાંસદ સંજય સિંહે બેઠકમાં SIR પ્રક્રિયાને 'ચૂંટણી કૌભાંડ' ગણાવીને કહ્યું હતું કે, આ દેશની લોકશાહી માટે ગંભીર ખતરો છે. તેમણે ભારત-પાકિસ્તાન મધ્યસ્થી અંગે ટ્રમ્પના નિવેદનો પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
આ બેઠક રાજ્યસભામાં ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સરકાર વતી કિરેન રિજિજૂ અને રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે ભાગ લીધો હતો. વિપક્ષ વતી કોંગ્રેસના ગૌરવ ગોગોઈ અને જયરામ રમેશ, એનસીપી (શરદ પવાર જૂથ)ના સુપ્રિયા સુલે, ડીએમકેના ટીઆર બાલુ, આરપીઆઈ (એ)ના રામદાસ અઠાવલેએ બેઠકમાં હાજરી આપી હતી.