ચીનને જવાબ આપવા લદ્દાખ મોરચે સેના સજ્જ છે, દેશનુ માથુ નહીં ઝુકવા દઈએઃ રાજનાથ
Updated: Sep 17th, 2020
નવી દિલ્હી, તા. 17. સપ્ટેમ્બર 2020 ગુરૂવાર
લદ્દાખ મોરચે ચીન સાથે ચાલી રહેલા ટકરાવ પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સંસદમાં નિવેદન આપતા કહ્યુ હતુ કે, ચીન સત્તાવાર રીતે જે બોર્ડર નક્કી થઈ છે તેને માની રહ્યુ નથી.તેના વાણી અને વર્તનમાં ફે્ર છે.ચીનની કોઈ પણ કાર્યવાહીનો ભારત વળતો જવાબ આપશે.ચીને જ ઉશ્કેરણી કરી છે અને ચીનને જવાબ આપવા માટે સેના તૈયાર છે.
તેમણે કહ્યુ હતુ કે, સીમા પર સેના મજબૂત સ્થિતિમાં છે.ભારત તરફથી લશ્કરી કાર્યવાહી પહેલા કરવાઈ નહોતી.પહેલ ચીને જ કરી છે પણ સેનાએ ચીનના ઈરાદાઓ પાર પાડવા દીધા નથી.ભારત આ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવા માંગે છે.અમે ઈચ્છીએ છે કે ચીન અમારી સાથે મળીને કામ કરે.
તેમણે કહ્યુ હતુ કે, ભારતીય સેનાએ નિયમોનુ પાલન કર્યુ છે પણ ચીને નિયમો પાળવામાં પીછેહઠ કરી છે.ચીનની કાર્યવાહી બંને દેશો વચ્ચે થયેલા કરારનો ભંગ છે.હું સંસદના માધ્યમથી 130 કરોડ દેશવાસીઓને કહેવા માંગુ છું કે, અમે દેશનુ માથુ ઝુકવા નહીં દીએ.રાષ્ટ્ર માટે અમારો આ સંકલ્પ છે.સેનાના જવાનોનો જુસ્સો બુલંદી પર છે.આપણા જવાનો કોઈ પણ સંકટનો સામનો કરવા માટે સક્ષમ છે.
રાજનાથસિંહે કહ્યુ હતુ કે, જવાનો માટે શિયાળાને ધ્યાનમાં રાખીને ગરમ કપડે, રહેવા માટેના વિશેષ ટેન્ટ, તમામ પ્રકારના હથિયારો અને દારુગોળાની વ્યવસ્થા કરાઈ છે.લદ્દાખમાં ભારત એક પડકારમાંથી પસાર થઈ રહ્યુ છે તે વાત સાચી છે પણ મને પુરો વિશ્વાસ છે કે, દેશની સેના અને દેશવાસીઓ આ પડકાર પર ખરા ઉતરશે.