‘ભારત અમારો અધિકાર છિનવવાના પ્રયાસમાં’ 57 મુસ્લિમ દેશોના સંગઠન IOCમાં પાકિસ્તાનની રોકકળ
India-Pakistan Water Treaty : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત સરકારે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય લીધા બાદ પાકિસ્તાન સતત રોકકળ કરી રહ્યું છે. તાજેતરમાં પાકિસ્તાને 52 મુસ્લિમ દેશોના સંગઠન IOCની બેઠકમાં પણ સિંધુ જળ સંધિના રોદણાં રોયા છે. સાઉદી અરેબિયાના જેદ્દામાં આઇઓસીના હ્યુમન રાઇટ્સ કમિશ્નરની બેઠક યોજાઈ હતી, જેમાં હાજર રહેલા પાકિસ્તાને ‘રાઇટ ટુ વૉર’ નામના સેશનમાં કહ્યું કે, ભારત અમારા અધિકારોનું હનન કરી રહ્યું છે.
‘...તો અમે મોટા સંકટમાં મૂકાઈ જઈશું’
પાકિસ્તાની ઉર્દૂ ભાષાની ન્યૂઝ ચેનલ સમા ટીવીના રિપોર્ટ મુજબ, ‘આઇઓસીની બેઠકમાં પાકિસ્તાના પ્રતિનિધિ સૈયદ ફવાદ શેરે કહ્યું કે, ‘ભારતે સિંધુ જળ સંધિ અટકાવાનો એકતરફી નિર્ણય લીધો છે, આવું કરી ભારતે વર્લ્ડ બૅંકની શરતોનું પણ ઉલ્લંઘન કર્યું છે. પાણી અમારો મૂળ અધિકાર છે, પરંતુ ભારત તેને છિનવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે પહેલેથી જ પાણીના સંકટનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો ભારતમાંથી પસાર થતી નદીઓમાં પાણી ઘટશે તો અમે મુશ્કેલીમાં મૂકાઈ જઈશું, અમારા વિસ્તારોમાં જળવાયુ સંકટ ઊભું થઈ જશે, પાણીની અછત સર્જાશે, જેના કારણે ખેતીથી લઈને તમામ જરૂરી ચીજવસ્તુઓ પર ખતરો ઊભો થશે.’
આ પણ વાંચો : ચીને ભારત સહિત વિશ્વભરનું વધાર્યું સંકટ
‘અમારા માટે પાણી ખૂબ જ મોટી સમસ્યા’
ફવાદે કહ્યું કે, ‘અમે સિંધુ જળ સંધિનો મામલો આંતરરાષ્ટ્રીય મંચો પર સતત ઉઠાવીશું. અમારા માટે પાણી ખૂબ જ મોટી સમસ્યા છે.’ પાકિસ્તાની આઇઓસીની બેઠકમાં ભારતની કાર્યવાહીનો ભારે વિરોધ કર્યો છે, જોકે આ મામલે સંગઠન તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ કરીને ભારત સિંધુ જળ સમજૂતી અટકાવી દીધી હતી. ત્યારબાદ ભારતથી પાકિસ્તાન તરફથી જતી તમામ નદીઓ પર ડેમ સહિતના પ્રોજેક્ટો પર ઝડપી કામ શરુ કરી દેવાયું છે.