પાકની હાફિઝ સઇદ વિરુદ્ધની કાર્યવાહી દુનિયાને છેતરવા સમાન
Updated: Feb 22nd, 2019
નવી દિલ્હી, તા. 22 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર ચોમેરથી પસ્તાળ પડી રહી છે ત્યારે તેણે આતંકવાદી સંગઠનો પર ફરી એક વખત માત્ર દેખાડો કરતી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન સરકારે કુખ્યાત આતંકવાદી હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ્-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશન પર પ્રતિબંધ મૂક્યો છે.
પાકિસ્તાનની આ કાર્યવાહીને પુલવામા હુમલા બાદ દબાણ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે. જોકે આ નિર્ણયમાં પુલવામા હુમલાની જવાબદારી સ્વીકારનાર જૈશ-એ-મોહમ્મદ કે તેના આકા મૌલાના મસૂદ અઝહરનું નામ લેવામાં આવ્યું નથી. એવામાં પાકિસ્તાનની આ કાર્યવાહી દુનિયાની આંખોમાં ધૂળ નાખવા સમાન જ છે.
આ પહેલી વખત નથી કે પાકિસ્તાને આતંકવાદી સંગઠનો પર દેખાડા પૂરતી કાર્યવાહી કરી હોય. જ્યારે જ્યારે તેના પર આંતરરાષ્ટ્રીય દબાણ આવે છે ત્યારે ત્યારે તે આવા પેંતરા અજમાવે છે. આ વખતે પણ પાકિસ્તાનનો મુખ્ય ડર આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠક છે. પાકિસ્તાન પહેલેથી જ FATFના ગ્રે લિસ્ટમાં સામેલ છે અને ભારતના પ્રયાસ તેને બ્લેક લિસ્ટમાં સામેલ કરાવવાના છે. જો પાકિસ્તાન બ્લેક લિસ્ટ થઇ જાય તો તેની આંતરરાષ્ટ્રીય શાખ ધૂળમાં મળી જાય એમ છે અને તેનું રેટિંગ વર્લ્ડ બેંક, IMF જેવી સંસ્થાઓમાં ઘટી જાય એમ છે જેનો તેને મોટો ફટકો પડે એમ છે.