પાકિસ્તાનનું પૂંચ-રાજૌરીમાં સીઝફાયર ઉલ્લંઘનઃ ભારતનો જડબાતોડ જવાબ
Updated: Feb 26th, 2019
શ્રીનગર, તા. 26 ફેબ્રુઆરી 2019, મંગળવાર
પુલવામા હુમલા બાદ ભારતે આકરું વલણ અપનાવ્યું છે ત્યારે પાકિસ્તાન શાંતિનો બનાવટી રાગ આલાપી રહ્યું છે પરંતુ બીજી બાજુ પોતાની નાપાક હરકતો છોડી રહ્યું નથી. મંગળવારે ફરી વખત પાકિસ્તાને લાઇન ઓફ કંટ્રોલ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને પૂંચ અને રાજૌરી સેક્ટરમાં ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાનની આ હરકતનો ભારત પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
પાકિસ્તાન તરફથી સોમવાર મોડી રાતથી જ બોર્ડર પર ફાયરિંગ શરૂ થઇ ગયું હતું. એ પછી થોડી થોડી વારે પાકિસ્તાન સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. સોમવારે મોડી રાતે પાકિસ્તાની સેનાએ રાજૌરી સેક્ટરમાં રહેણાંક વિસ્તારોમાં ફાયરિંગ કર્યું હતું.
ગત 14 ફેબ્રુઆરીએ પુલવામા ખાતે આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વ્યાપી રહ્યો છે. આ તણાવની અસર સરહદ પર જોવા મળી રહી છે. એ જ કારણ છે કે પાકિસ્તાન રોજ સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ પહેલાં પણ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન બોર્ડરથી આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે આ પ્રકારની હરકત કરતું હોય છે કે જેથી ભારતીય સેનાનું ધ્યાન ભટકાવી શકાય. જોકે ભારતના જોરદાર જવાબથી પાકિસ્તાન અકળાયું છે અને એટલે જ ભારત પર ખોટા આરોપ પણ મૂકી રહ્યું છે.