Get The App

‘વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે’ સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી

Updated: Dec 8th, 2025

GS TEAM

Google News
Google News
‘વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે’ સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી 1 - image

Akbaruddin Owaisi Vande Mataram Debate : સંસદમાં 'વંદે માતરમ્' અને બંધારણ પર ચાલી રહેલી જોરદાર ચર્ચા વચ્ચે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ ગૃહમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘આ વતન મારું છે, અમે તેને છોડીને ક્યાંય જવાના નથી.’

'ભારત માતા' ના નારા પર ઓવૈસીનો વાંધો

ઓવૈસીએ ‘ભારત માતાના નારા પર પોતાનો સખત વાંધો વ્યક્ત કરતાં દલીલ કરી હતી કે, ‘જો આપણે ભારત માતાને એક દેવી તરીકે સંબોધી રહ્યા છીએ, તો આપણે આમાં ધર્મને લાવી રહ્યા છીએ. બંધારણમાં દેશ પ્રત્યેની નિષ્ઠાની વાત છે, કોઈ દેવીની પૂજા કરવાની નહીં.’

‘મુસલમાનો પાસેથી વફાદારીનું પ્રમાણપત્ર માંગવાનું બંધ કરવું જોઈએ’

ઓવૈસીએ સત્તાધારી પક્ષને ઘેરતાં સ્પષ્ટ કહ્યું કે, મુસલમાનો પાસેથી વારંવાર વફાદારીનું પ્રમાણપત્ર માંગવાનું બંધ કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે પોતાની મરજીથી ભારતને પોતાનો દેશ પસંદ કર્યો છે અને તેઓ અહીં જ જીવશે અને અહીં જ મરશે, પરંતુ પોતાની દેશભક્તિ સાબિત કરવા માટે કોઈના દબાણમાં નહીં આવે.

આ પણ વાંચો : ‘ભાજપને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની કદર જ નથી’ વંદે માતરમ પર ચર્ચા મામલે CM મમતાના કેન્દ્ર પર પ્રહાર

શા માટે થયો 'વંદે માતરમ્' પર વિવાદ?

નોંધનીય છે કે, સંસદમાં 'વંદે માતરમ્'ની 150મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ચર્ચાનું સત્ર ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે તેમણે મુસ્લિમ લીગના દબાણમાં આવીને 'વંદે માતરમ્' ગીતનું વિભાજન કર્યું હતું. બીજી તરફ, કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સરકાર બેરોજગારી અને ગરીબી જેવા મહત્ત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ વિષય પર ચર્ચા કરાવી રહી છે. આ જ વિવાદપૂર્ણ વાતાવરણમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની વાત રજૂ કરી હતી.

આ પણ વાંચો : ‘બંગાળ ચૂંટણીના કારણે વંદે માતરમ્ પર સંસદમાં ચર્ચા થઈ...’, પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર