West Bengal CM Mamata Banerjee On BJP : ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂરા થવા પર સંસદમાં આજે વિશેષ ચર્ચા સત્ર યોજાયું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ગંભીર આક્ષેપ કર્યા હતા, તો બીજીરતફ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ આક્ષેપ કર્યો હતો કે, ભાજપ મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન ભટાકવવા માટે ‘વંદે માતરમ્’ પર ચર્ચા કરાવી રહી છે. ત્યારે હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર સ્વાતંત્ર્ય સેનાનીઓની કદર ન કરવાનો આક્ષેપ કર્યો છે.
CM મમતાના ભાજપ પર આકરા પ્રહાર
મમતા બેનરજીએ કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સમાં સવાલ કર્યો છે કે, ‘જો ભાજપ નેતાજી સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર અને રાજારામ મોહન રાય જેવા મહાન સ્વતંત્ર્ય સેનાનીઓ અને વિચારકોની કદર કરતી નથી, તો આખરે તેઓ કોની કદર કરે છે? મેં સાંભળ્યું છે કે, ભાજપના કેટલા લોકો નેતાજીની કદર કરતા નથી, તો તેઓ નેતાજી, ટાગોર અને રાજારામ મોહન રાયનું સન્માન કરતી નથી, તો કોનું કરે છે?
#WATCH | Kolkata | On the Vande Mataram debate in Parliament today, West Bengal CM Mamata Banerjee says, "...I heard some people from the BJP say that they don't appreciate Netaji. You don't appreciate Netaji, Rabindranath Tagore, Raja Ramohun Roy, then who do you appreciate?..." pic.twitter.com/wUAgfv2RbT
— ANI (@ANI) December 8, 2025
CM મમતા ભગવદ ગીતા પાઠ કાર્યક્રમમાં કેમ ન ગયા?
સંતનાન સંસ્કૃતિ સંસદ દ્વારા કોલકાતામાં ‘ભગવદ ગીતા પાઠ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. જોકે આ કાર્યક્રમમાં મમતા બેનરજી ઉપસ્થિત ન રહેતા અનેક સવાલો ઉઠ્યા હતા. હવે તેમણે કાર્યક્રમમાં ન જવાનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘આ કાર્યક્રમ ભાજપ સાથે સંકળાયેલો હતો. જો કાર્યક્રમ નિષ્પક્ષ હોત તો હું ત્યાં જરૂરથી સામેલ થઈ હોત. હું એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલી છું અને હું વિચારધારાનું પાલન કરું છું. હું તમામ ધર્મ અને સમાજનું સન્માન કરું છું, પરંતુ જે કાર્યક્રમ ભાજપ સાથે સંકળાયેલો હોય, તેમાં હું કેવી રીતે જઈ શકું? હું એવા કાર્યક્રમોમાં સામેલ થતી નથી, જેમાં સુભાષ ચંદ્ર બોઝનું અપમાન કરવામાં આવે કે પછી મહાત્મા ગાંધીના સિદ્ધાંરોનું પાલન કરવામાં આવે. મારા માતા-પિતાએ મને આવું શીખવ્યું નથી. હું તેવા લોકો સાથે નથી, જેઓ બંગાળનું અપમાન કરે છે અને બંગાળ વિરોધી છે.’
વડાપ્રધાન મોદીએ વંદે માતરમ અંગે સંસદમાં શું કહ્યું?
ઉલ્લેખનીય છે કે, સંસદમાં આજે ‘વંદે માતરમ્’ ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘ગત સદીમાં વંદે માતરમ સાથે વિશ્વાસઘાત થયો અને વિવાદમાં લાવવામાં આવ્યો. મુસ્લિમ લીગે વંદે માતરમનો વિરોધ કર્યો હતો, જિન્નાએ 1937માં વિરોધ કર્યો હતો, જોકે નેહરુએ મુસ્લિમ લીગની નિંદા ન કરી. જિન્નાએ વિરોધ કરતા નેહરુજીને ખુરશી ગુમવવાનો ખતરો લાગ્યો હતો. જિન્ના વિરોધ બાદ નેહરુને ડર લાગ્યો હતો. મુસ્લિમોએ વંદે માતરમના કેટલાક શબ્દો પર વાંધો ઉઠાવ્યો હતો. પછી કોંગ્રેસે તેની સમીક્ષા કરવાની વાત કહી હતી. કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી દીધા. કોંગ્રેસે મુસ્લિમ લીગના દબાણમાં આવીને નિર્ણય લીધો હતો.’
PM મોદીના ભાષણ પર પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીએ નેહરુ પર ગંભીર આક્ષેપ કર્યા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો હતો. પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘સરકાર દેશના મહત્ત્વના મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા અને રાજકીય લાભ લેવા માટે આ ચર્ચા કરાવી રહી છે. વંદે માતરમ્ પર આટલી લાંબી ચર્ચા કરવાની આજે કોઈ જરૂર જણાતી નથી, કારણ કે આ ગીત દેશવાસીઓના હૃદયમાં પહેલેથી જ વસેલું છે. આ ચર્ચા કરાવવાનો પહેલો હેતુ આગામી બંગાળની ચૂંટણી છે, જેમાં વડાપ્રધાન મોદી પોતાની ભૂમિકા ભજવવા માગે છે. સરકાર દેશની આઝાદી માટે બલિદાન આપનારા નેતાઓ પર નવા આરોપો લગાવીને અને વંદે માતરમ્ પર ચર્ચા કરાવીને જનતાનું ધ્યાન બેરોજગારી, ગરીબી જેવા વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવી રહી છે. તમે પંડિત નેહરુનું અપમાન કરવા માટેની તમામ બાબતોની એક વખત યાદી બનાવી લો. પછી અધ્યક્ષની પરવાનગી લઈને જેટલા કલાકો સુધી ચર્ચા કરવી હોય તેટલી કરી લેજો. પરંતુ જનતાએ જે કામ માટે અમને અહીં મોકલ્યા છે, તે બેરોજગારી, ગરીબી જેવા વર્તમાન અને ભવિષ્યના મુદ્દાઓ પર વાત કરો.’
PM મોદીના ભાષણ પર કોંગ્રેસ સાંસદ ગોગોઈએ શું કહ્યું?
વડાપ્રધાન મોદીના ભાષણ બાદ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કટાક્ષ કર્યો હતો કે, ‘તમે દરેક વખતે નેહરુજી અને કોંગ્રેસ પર પ્રહાર કરો છો, પરંતુ તમે ગમે તેટલો પ્રયાસ કરો, નેહરુજી પર દાગ નહીં લગાવી શકો. તમે 1937ના કોંગ્રેસના અધિવેશન અંગે બોલ્યા છો, પરંતુ હું કહેવા માંગું છું કે, 1942માં ભારત છોડો આંદોલનમાં તમારા રાજકીય પૂર્વજો ક્યાં હતાં? મુસ્લિમ લીગે વંદે માતરમનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની માંગ કરી હતી. અમારા નેતા મૌલાના અબુલ કલામ આઝાદ સાહેબે કહ્યું હતું કે, મને વંદે માતરમથી કોઈ વાંધો નથી, તેથી અમારા મૌલાના આઝાદ અને મુસ્લિમ લીગમાં આ જ તફાવત છે. તે સમયે હિંદૂ મહાસભાએ પણ વંદે માતરમની ટીકા કરી હતી.’
આ પણ વાંચો : શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો


