Get The App

VIDEO : ‘બ્રહ્માસ્ત્ર સાબિત થયા બ્રહ્મોસ અને આકાશતીર', DRDO ચીફે જણાવ્યું કેવી રીતે ભારતીય શસ્ત્રોએ પાકિસ્તાનને હંફાવ્યું

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : ‘બ્રહ્માસ્ત્ર સાબિત થયા બ્રહ્મોસ અને આકાશતીર', DRDO ચીફે જણાવ્યું કેવી રીતે ભારતીય શસ્ત્રોએ પાકિસ્તાનને હંફાવ્યું 1 - image

Brahmos Missiles And Akashteer System : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના અધ્યક્ષ સમીર વી.કામતે આજે (9 ઓગસ્ટ) કહ્યું કે, ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સામે કરેલી કાર્યવાહીમાં બ્રહ્મોસ મિસાઈલો અને એન્ટી-ડ્રોન આકાશતીર સંરક્ષણ સિસ્ટમે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. આ દરમિયાન વાયુસેનાના શક્તિશાળી ફાઈટર જેટ સુખોઈ માર્ક-1 દ્વારા મુખ્ય હથિયાર તરીકે બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

‘ઓપરેશન સિંદૂર દેશની તાકાતનું શ્રેષ્ઠ પ્રમાણ’

કામતે ડિફેન્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એડવાન્સ્ટ ટેકનોલોજીના 14માં દિક્ષાંત સમારોહમાં સંબોધન કરતી વખતે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર એ દેશના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર, રણનીતિક દૂરદર્શિતા અને સ્વદેશી ટેકનોલોજીની તાકાતનું શ્રેષ્ઠ પ્રમાણ છે. પશ્ચિમ સરહદ પર ખૂબ જ સંકલિત અને બહુ-પરિમાણીય લશ્કરી કામગીરીથી સૈનિકોના સાહસ વધવાની સાથે ટેકનિકલ કૌશલ પણ ઉજાગર થયું છે. ઓપરેશન સિંદૂર વખતે સુખોઈ માર્ક-1 દ્વારા મુખ્ય હથિયાર તરીકે બ્રહ્મોસ લોન્ચ કરવામાં આવ્યું હતું. રક્ષણાત્મક શસ્ત્ર પ્રણાલીઓની વાત કરીએ તો ડ્રોન-વિરોધી આકાશતીર સિસ્ટમ અને મધ્યમ અંતરની જમીનથી હવામાં મારતી મિસાઈલ (MRSAM)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર એક મિશનથી પણ ઘણુ શ્રેષ્ઠ હતું.’

આ પણ વાંચો : 'ભારત પર સવાલ ઉઠાવતું અમેરિકા યુદ્ધના ગુનેગારોને વ્હાઈટ હાઉસમાં બોલાવે છે', ખૂલીને સમર્થનમાં આવ્યો આ દેશ

બ્રહ્મોસ મિસાઈલની ખાસિયત

બ્રહ્મોસ મિસાઈલ એ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસિત વિશ્વની સૌથી ઝડપી અને અત્યંત ઘાતક સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. તેનું નામ ભારતીય નદી બ્રહ્મપુત્રા અને રશિયન નદી મોસ્કવા ના નામ પરથી રાખવામાં આવ્યું છે. બ્રહ્મોસ મિસાઈલની ઝડપ અવાજની ગતિ કરતાં લગભગ 3 ગણી છે, જેના કારણે તેને દુશ્મનના રડાર દ્વારા પકડવી અથવા અટકાવવી ખૂબ મુશ્કેલ છે. સામાન્ય રીતે તેની રેન્જ 290 કિલોમીટર છે, પરંતુ તેના અદ્યતન સંસ્કરણોની રેન્જ 800 કિલોમીટર સુધી વધી ગઈ છે. આ મિસાઈલ "ફાયર એન્ડ ફોર્ગેટ" સિદ્ધાંત પર કામ કરે છે, એટલે કે એકવાર લોન્ચ થયા પછી તેને વધારાના માર્ગદર્શનની જરૂર પડતી નથી અને તે ચોક્કસ લક્ષ્યને ભેદી શકે છે. તે ઓછી ઊંચાઈએ ઉડવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે તે દુશ્મનના રડારની પકડમાંથી બચી શકે છે.

આકાશતીરની ખાસીયત

આકાશતીર (Akashteer) એ ભારતીય સેના માટે વિકસાવવામાં આવેલી એક અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ હુમલાઓથી દેશની સુરક્ષાને મજબૂત કરવાનો છે. આકાશતીર એક સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત સિસ્ટમ છે, જેનું નિર્માણ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ ભારતીય સેનાના જવાનોને હવાઈ હુમલાઓથી બચાવવાનો છે. આ સિસ્ટમ દ્વારા રિયલ-ટાઇમમાં દુશ્મનના વિમાનો, મિસાઇલો કે અન્ય હવાઈ ખતરાઓને શોધી કાઢીને તેનો નાશ કરી શકાય છે. આ સિસ્ટમમાં અત્યાધુનિક રડાર અને કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક સાથે અનેક લક્ષ્યો પર નજર રાખી શકે છે. ભારતીય સેનાએ તાજેતરમાં 'આકાશતીર' સિસ્ટમના એક ભાગ તરીકે જવાનોને 2000થી વધુ યુનિટ્સ સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેનાથી સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થશે.

આ પણ વાંચો : ટ્રમ્પે બે દેશો વચ્ચે યુદ્ધ અટકાવ્યું, દ્વિપક્ષીય બેઠકમાં ફરી ભારત-પાકિસ્તાન પર નિશાન સાધ્યું