ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી
BJP Tiranga Yatra : ભારતીય સેનાની ત્રણેય પાંખોએ ઓપરેશન સિંદૂર પાર પાડી આતંકવાદ અને પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે, જેની દેશભરમાં સરાહના થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી દેશભરના નાગરિકો સૂધી પહોંચાડવા માટે આવતીકાલ 13 મેથી 23 મે સુધી તિરંગા યાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ અભિયાન દ્વારા ભાજપ જનતાને જણાવશે કે, કેવી રીતે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત કર્યું. આ યાત્રાના સંકલનની જવાબદારી સંબિત પાત્રા, વિનોદ તાવડે અને તરુણ ચુઘ જેવા વરિષ્ઠ પક્ષના નેતાઓને સોંપવામાં આવી છે.
10 દિવસ સુધી યોજાશે તિરંગા યાત્રા
13 મે થી 23 મે દરમિયાન 10 દિવસની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. ભાજપનો ઉદ્દેશ્ય ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ની સિદ્ધિઓને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ સંબિત પાત્રા, વિનોદ તાવડે, તરુણ ચુઘ અને અન્ય લોકો આ ઝુંબેશનું સંકલન કરશે. ભાજપના ટોચના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ વિવિધ વિસ્તારોમાં યાત્રાનું નેતૃત્વ કરશે.
આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે: PM મોદી
ભારતીય સેનાએ આતંકી હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ દ્વારા ઘણા નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ 7 મેના રોજ આતંકવાદીઓના ઠેકાણાઓ સામે જવાબી કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓ સામેની આ કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. પાકિસ્તાન દ્વારા અનેક વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા વિશ્વાસઘાત હુમલાઓનો યોગ્ય જવાબ આપી રહ્યા છે.
આ પણ વાંચો : PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી